ટીવી સિરિયલ ‘આદત સે મજબૂર’ તથા ‘કુલદિપક’માં જોવા મળેલ એક્ટર મનમીત ગ્રેવાલે શુક્રવાર (15 મે)ની રાત્રે નવી મુંબઈ સ્થિત પોતાના ઘરે આત્મહત્યા કરી હતી. સૂત્રોના મતે, લૉકડાઉનને કારણે કામ ના મળવાને કારણે મનમીત ડિપ્રેશનમાં હતો. આ ઉપરાંત તેણે મિત્રો પાસેથી પૈસા પણ ઉધાર લીધા હતાં. આર્થિક સંકળામણને કારણે મનમીતે આત્મહત્યા કરી હતી.
બેડરૂમમાં ગળેફાંસો ખાધો
32 વર્ષીય મનમીતે પત્નીના દુપટ્ટાથી બેડરૂમમાં પંખા સાથે લટકીને ગળેફાંસો ખાધો હતો. પત્નીએ મનમીતને બચાવવાના પૂરા પ્રયાસો કર્યાં હતાં અને તેણે મદદ માટે બૂમો પણ પાડી હતી. જોકે, પડોશીઓના મનમાં એવો ભય હતો કે મનમીતને કોરોનાવાઈરસ છે અને તેથી તેઓ મદદ માટે આગળ આવ્યા નહીં.
મિત્રે આ વાત કહી
એન્ટરટેઈનમેન્ટ પોર્ટલ સ્પોટબોય સાથેની વાતચીતમાં મનમીતના ફ્રેન્ડ મનજીત સિંહે કહ્યું હતું કે તે સાંજે મનમીત સામાન્ય હતો. તે પોતાના રૂમમાં ગયો અને બંધ કરી દીધો. આ સમયે તેમની પત્ની રસોડામાં ભોજનની તૈયારી કરતી હતી. જ્યારે તેણે ખુરશી પડવાનો અવાજ સાંભળ્યો તો તે તરત જ બેડરૂમમાં ગઈ. બેડરૂમમાં તેણે પતિને પંખા સાથે લટકતો જોયો હતો. તેણે મદદ માટે બહુ જ બૂમો પાડી હતી. પડોશીએ તેનો અવાજ પણ સાંભળ્યો હતો જોકે, એક પણ વ્યક્તિ મદદ માટે આગળ આવી નહીં અને મનમીતને ઉતાર્યો પણ નહીં.
સિક્યોરિટી ગાર્ડે મદદ કરી
અંતે સિક્યોરિટી ગાર્ડ આગળ આવ્યો અને તેણે દુપટ્ટો કાપીને મનમીતને નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસ સ્ટેશનના એક અધિકારીએ વાતચીતમાં કહ્યું હતું કે મનમીત ઘણી જ મુશ્કેલીમાં હતો. તેણે પત્નીના સોનાના દાગીના મોર્ગેજ પર મૂક્યા હતાં. આટલું જ નહીં તેની પાસે ભાડું ભરવાના 8500 રૂપિયા પણ નહોતાં.
આઠ વર્ષ પહેલાં મુંબઈ આવ્યો હતો
મનમીત આઠ વર્ષ પહેલાં મુંબઈ આવ્યો હતો. તેના માતા-પિતા પંજાબમાં રહે છે. મનમીતે બે વર્ષ પહેલાં જ લગ્ન કર્યાં હતાં. મનમીતે ટીવી સિરિયલ્સ ઉપરાંત જાહેરાતોમાં પણ કામ કર્યું હતું. હાલમાં જ તેને એક વેબ સીરિઝ મળી હતી. આ વેબ સીરિઝને લઈ મનમીતને ઘણી જ આશા હતી. જોકે, લૉકડાઉનને કારણે આ વેબ સીરિઝનું કામ અટકી ગયું હતું. આ જ કારણે તે ડિપ્રેશનમાં જતો રહ્યો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/366zDjt
https://ift.tt/364X8JK