બોલિવૂડ એક્ટર સોનુ સુદે થોડાં સમય પહેલાં જ મુંબઈના કામ કરતાં શ્રમિકોને કર્ણાટક તેમના ઘરે જવાની વ્યવસ્થા કરી આપી હતી. હવે, સોનુ સુદે શ્રમિકોને ઉત્તર પ્રદેશ, બિહાર તથા ઝારખંડ જવાની વ્યવસ્થા કરી આપી હતી.
શ્રમિકોને મળવા આવ્યો હતો
સોનુ સુદ માસ્ક તથા ગ્લવ્ઝ સાથે શ્રમિકોને મળવા આવ્યો હતો. સોનુ સુદે તમામ રાજ્યોમાંથી યોગ્ય પરવાનગી લીધી હતી અને ત્યારબાદ જ શ્રમિકોને બસમાં રવાના કર્યાં હતાં. મુંબઈના વડાલા વિસ્તારથી યુપીના લખનઉ, હરદોઈ, પ્રતાપગઢ તથા સિદ્ધાર્થનગર સહિત રાજ્યના વિવિધ શહેરો તથા બિહાર અને ઝારખંડ માટે બસ રવાના કરી હતી. આ કામમાં સોનુની ખાસ મિત્ર નીતિ ગોયલે તેને સાથ આપ્યો હતો.
View this post on InstagramA post shared by Viral Bhayani (@viralbhayani) on May 16, 2020 at 6:13am PDT
શ્રમિકોને રસ્તા પર ચાલતા જોઈ અનુકંપા થઈ
સોનુ સુદે કહ્યું હતું કે શ્રમિકોને મદદ કરવી તે આપણી ફરજ છે. હાઈવે પર પોતાના પરિવાર અને બાળકો સાથે શ્રમિકોને ચાલતા જોઈને તેનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. આ સમયે તે એસીમાં બેસીને ટ્વીટ કરીને શ્રમિકો પ્રત્યે ચિંતાગ્રસ્ત હોવાનું જણાવી શકે નહીં. જ્યાં સુધી રસ્તા પર નહીં આવીએ ત્યાં સુધી તેઓ તેમના ઘરે પહોંચી શકશે નહીં. જો તેમના માટે રસ્તા પર નહીં આવીએ તો તેમને એ વિશ્વાસ જ નહીં થાય કે કોઈક તેમની પડખે છે. આથી જ તેણે શ્રમિકોને ઘરે પહોંચાડવાની જવાબદારી લીધી અને અલગ-અલગ રાજ્યોમાંથી પરવાનગી પણ લીધી.
લૉકડાઉનમાં બસ આ એક જ કામ
વધુમાં સોનુ સુદે કહ્યું હતું કે હવે તેને રોજના અનેક મેસેજ તથા સેંકડો ઈમેલ મળે છે. તે સવારથી સાંજ સુધી આ બધી વ્યવસ્થામાં વ્યસ્ત રહે છે. લૉકડાઉનમાં અત્યારે તેની આ જ એક જવાબદારી છે. આ કામથી તેને ઘણો જ સંતોષ મળે છે અને તે શબ્દોમાં વ્યક્ત કરી શકે તેમ નથી. જ્યારે તેણે શ્રમિકોને રસ્તા પર ચાલતા જોયા ત્યારે તેને અંદરથી એવું થયું કે આપણે માણસ હોવાનું સન્માન ગુમાવી દઈશું. તે રાત્રે સૂઈ શક્યો નહોતો. તે આખો દિવસ સતત શ્રમિકોને તેમના વતન કેવી રીતે મોકલવા તેની વ્યવસ્થામાં જ વ્યસ્ત હોય છે. તે જાતે જઈને શ્રમિકોને તેમના વતન મોકલવા ઈચ્છે છે.
શ્રમિકો જ ભારતનો ખરો ચહેરો
સોનુએ આગળ કહ્યું હતું કે આ શ્રમિકો જ ભારતનો વાસ્તવિક ચહેરો છે. આ જ શ્રમિકોએ આપણાં ઘર બાંધવા માટે તેમના ઘર છોડ્યાં, પેરેન્ટ્સ છોડ્યાં, પરિવાર છોડ્યો અને આપણાં માટે આકરી મહેનત કરી. જો આજે આપણે તેમને સપોર્ટ નહીં કરીએ તો આપણને માણસ કહેવાનો કોઈ જ હક નથી. આપણે શક્ય તેટલી મદદ કરવી જોઈએ. આપણે તેમને રસ્તા પર એકલા મૂકી શકીએ નહીં. હાઈવે પર તેમને મરતા છોડી શકીએ નહીં. નાનકડાં બાળકો રસ્તા પર ચાલે તે કલ્પના જ તે કરી શકતો નથી. અંતે, સોનુએ એમ કહ્યું હતું કે જ્યાં સુધી તમામ શ્રમિકો તેમના ઘરે નહીં પહોંચી જાય ત્યાં સુધી તે સતત આ કામ ચાલુ રાખશે.
હાલમાં જ સોનુ સુદે શ્રમિકો માટે મહારાષ્ટ્રના થાનેથી ગુલબર્ગ (કર્ણાટક) જવા માટે દસ બસોની વ્યવસ્થા કરી હતી. આ પહેલાં એક્ટરે પંજાબના ડોક્ટર્સને 1500 PPE (પર્સનલ પ્રોટેક્ટિવ કિટ્સ) ડોનેટ કરી હતી. રમઝાનમાં ભિંવડી આગળ હજારો શ્રમિકોના ભોજનની વ્યવસ્થા પણ કરી હતી. આ પહેલાં સોનુએ મુંબઈ સ્થિત પોતાની હોટલ મેડકિલ સ્ટાફને રહેવા માટે આપી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2LxgiPd
https://ift.tt/36icfzX