નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા હવે અંજના આનંદ કિશોર પાંડેએ એક્ટરના પરિવાર પર શારીરિક તથા માનસિક ત્રાસ આપવાનો આક્ષેપ મૂક્યો છે. ડિવોર્સની નોટિસ મોકલ્યા બાદ અંજનાએ દાવો કર્યો હતો કે નવાઝના ભાઈએ તેને માર પણ માર્યો હતો.
નવાઝ બૂમો પાડતો હતો
અંજનાએ કહ્યું હતું, ‘નવાઝે ક્યારેય મારી પર હાથ ઉપાડ્યો નથી પરંતુ તેમની સાથેની દલીલો તથા મારી પર પાડવામાં આવતી બૂમો હવે સહન થઈ શકે તેમ નથી. તમે એમ પણ કહી શકો છો કે અમારા સંબંધમાં માત્ર આટલું જ હતું. જોકે, તેમના પરિવારે મને માનસિક તથા શારીરિક રીતે બહુ જ હેરાન કરી હતી. તેમના ભાઈએ તો મને માર પણ માર્યો હતો.’
પહેલી પત્નીએ પણ આ જ કારણે ડિવોર્સ લીધા હતા
અંજનાએ આગળ કહ્યું હતું, ‘તેમની માતા, ભાઈ તથા ભાભી અમારી સાથે મુંબઈમાં રહેતા હતાં. આથી મેં વર્ષો સુધી ઘણું જ સહન કર્યું છે. પહેલી પત્નીએ પણ આ જ કારણથી ડિવોર્સ લીધા હતાં. સિદ્દીકી પરિવારની વહુઓ તેમના વિરુદ્ધ સાત કેસ કરી ચૂકી છે. ચારના ડિવોર્સ થઈ ગયા છે અને આ પાંચમા છે. પરિવારમાં આ પેટર્ન બની ચૂકી છે.’
લગ્નના પહેલાં વર્ષથી વાંધાઓ હતાં
નવાઝ તથા અંજનાના લગ્નને 11 વર્ષ થયા છે. જોકે, અંજનાના મતે, ‘લગ્નના પહેલાં વર્ષથી જ તેમના સંબંધોમાં મુશ્કેલીઓ આવવા લાગી હતી. જોકે, મેં પરિસ્થિતિને સંભાળવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો. જોકે, મને હંમેશાં નવાઝ એ વાતનો અહેસાસ કરાવતા કે હું કંઈ પણ કરી શકું એમ નથી. આટલું જ નહીં નવાઝ મને અન્ય લોકોની હાજરીમાં બોલવા પણ દેતા નહીં.’
બાળકોને એ પણ યાદ નથી કે પિતા સાથે ક્યારે મુલાકાત કરી હતી
અંજના બાળકોની કસ્ટડી ઈચ્છે છે. તેના મતે, નવાઝ બાળકોની સારસંભાળ રાખી શકશે નહીં. અંજનાએ કહ્યું હતું, ‘તમે આટલાં મોટા એક્ટર બની ગયા છો પરંતુ તમે સારા વ્યક્તિ નથી. તમે પત્ની-બાળકોને સન્માન આપી શકતા નથી, તો આનો કોઈ અર્થ નથી.’ વધુમાં અંજનાએ કહ્યું હતું, ‘બાળકોને એ પણ યાદ નથી કે તેઓ પિતાને છેલ્લીવાર ક્યારે મળ્યાં હતાં. ત્રણ-ચાર મહિનાથી તેમણે બાળકો સાથે મુલાકાત કરી નથી. જોકે, તેમને આનાથી કોઈ ફેર પડતો નથી. આથી બાળકોને પણ પિતા વગર રહેવાની આદત પડી ગઈ છે. તેઓ પિતા અંગે કંઈ પૂછતા પણ નથી. હું બાળકોની કસ્ટડી એકલી જ લેવા ઈચ્છું છું. તેમને તેમના ભાઈનો સપોર્ટ છે અને બહેનનું ડિસેમ્બરમાં નિધન થયું હતું.’
નવાઝને બેવાર નોટિસ મોકલી છે
અંજનાના વકીલ અભય સહાયની વાત માનીએ તો નવાઝને બેવાર નોટિસ મોકલવામાં આવી છે. પહેલી નોટિસ સાત મેના રોજ વ્હોટ્સ એપ તથા ઈમેલ દ્વારા મોકલવામાં આવી હતી. બીજી નોટિસ 13 મેના રોજ આપવામાં આવી હતી. સહાયના મતે, જો નવાઝ 15 દિવસ સુધીમાં જવાબ નહીં આપે તો તેમની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. નવાઝ હાલમાં માતા તથા ભાઈ-ભાભી સાથે યુપીના બુધના ગયો છે. અહીંયા તે 14 દિવસ ક્વૉરન્ટીન રહેશે. નવાઝની માતા મેહરૂન નીસા સિદ્દીકીની તબિયત સારી ના હોવાથી તેઓ બુધના ગયા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3cPVyOu
https://ift.tt/3bNd84x