‘ક્રાઈમ પેટ્રોલ’, ‘લાલ ઈશ્ક’ તથા ‘મેરી દુર્ગા’ જેવા શોમાં કામ કરનાર એક્ટ્રેસ પ્રેક્ષા મહેતાએ સોમવાર (25 મે)ના મોડી રાત્રે પોતાના ઈન્દોર સ્થિત ઘરે આત્મહત્યા કરી હતી. રિપોર્ટ્સ પ્રમાણે, પ્રેક્ષા લૉકડાઉન હોવાને કારણે મુંબઈથી પોતાના ઘરે ઈન્દોર પરત ફરી હતી. છેલ્લાં એક વર્ષથી કામ ના મળવાને કારણે તે ડિપ્રેશનમાં હતી. જોકે, પ્રેક્ષાના નિકટના મિત્ર આત્મપ્રકાશ મિશ્રાએ કહ્યું હતું કે તે કામ ના મળવાને કારણે આવું પગલું ભરી શકે નહીં.
પ્રેક્ષા બીજાની ખુશીઓમાં પોતાની ખુશીઓ શોધતી
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં આત્મે કહ્યું હતું, ‘મને સાચે જ ખબર નથી કે આખરે એવું તો શું થયું કે પ્રેક્ષાએ આટલું મોટું પગલું ઉઠાવ્યું. છેલ્લાં બે વર્ષથી અમે એકબીજાના સંપર્કમાં હતાં અને તે એવી યુવતી હતી કે જે બીજાની ખુશીમાં પોતાની ખુશી શોધી લેતી હતી. પોઝિટિવિટીનો ભંડાર હતી. તે હંમેશાં બીજાને પ્રેરિત કરતી હતી. ખબર નથી કે તે કેવી રીતે આત્મહત્યા કરી શકે. અમે તમામ મિત્રો આઘાતમાં છીએ. જો તેણે પોતાનું જીવન પૂરું કરી લીધું છે તો તમે કલ્પના કરો કે તેણે કેટલી દૃઢતા સાથે આ પગલું ભર્યું હશે. એક અઠવાડિયા પહેલાં જ તેની સાથે વાત થઈ હતી અને તેણે એકવાર પણ કામ ના મળવાની વાત કરી નહોતી. તેણે કરિયરને લઈ સુસાઈડ કર્યું નથી. જરૂર એવી કોઈ વાત હશે, જે કોઈને કહી ના શકી.’
માતા-પિતા ઈચ્છતા કે તે લગ્ન કરી લે
માનવામાં આવે છે કે પ્રેક્ષાનો પરિવાર તેને લગ્ન કરવા પર દબાણ કરતો હતો. આ અંગે આત્મે કહ્યું હતું, ‘પ્રેક્ષા ઈન્દોરથી મુંબઈ આવી હતી. તે પોતાનું સપનું પૂરું કરવા માગતી હતી. દરેક મા-બાપની જેમ તેના પેરેન્ટ્સ પણ ઈચ્છતા હતાં કે તે ઘર વસાવી લે. આ વાતને લઈ તે થોડી ચિતિંત રહેતી હતી. જોકે, આ વાતને લઈ સુસાઈડ કરે તેમ લાગતું નથી. તેને ઘરમાં રહેવું પસંદ નહોતું. તે મુંબઈ બહુ બધા સપના લઈને આવી હતી. બની શકે કે ઘરમાં કંઈ થયું હોય અથવા લૉકડાઉનમાં ઘરમાં ફસાઈ ગઈ હોય. કોને ખબર તેના મગજમાં શું ચાલતું હતું. પૈસાની પણ કોઈ ચિંતા નહોતી. જોકે, તેણે પૈસાને લઈ કોઈ વાત કરી નહોતી. મુંબઈ જેવા શહેરમાં તે સહજતાથી પોતાનું ગુજરાન ચલાવતી હતી.’
પોતાને મોટા પડદે જોવાનું સપનું હતું
પ્રેક્ષાએ ફિલ્મ ‘સખા’માં કામ કર્યું હતું. જોકે, છેલ્લાં બે વર્ષથી તે ફિલ્મ રિલીઝ થઈ શકી નહોતી. આત્મના મતે, આ વાતને લઈ પ્રેક્ષા નિરાશ હતી. જ્યારે ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું ત્યારે પ્રેક્ષા ઘણી જ ખુશ હતી. પોતાને બિગ સ્ક્રીન પર જોવાની ઈચ્છા દરેક એક્ટરને હોય છે. જોકે, બે વર્ષ બાદ પણ ફિલ્મ રિલીઝ થઈ શકી નહોતી. પોતાને મોટા પડદે જોવાનું પ્રેક્ષાનું એ સપનું હવે ક્યારેય પૂરું નહીં થાય. જોકે, તે આ વાતથી ક્યારેય હતોત્સાહી થઈ નહોતી. તે પોતાની સાથે અનેક સવાલોના જવાબલઈને ગઈ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2M7FxrI
https://ift.tt/3dcynOD