જાણીતા સંગીતકાર સાજિદ-વાજિદ ફૅમ મ્યૂઝિક કમ્પોઝર વાજિદ ખાનનું નિધન થયું છે. દિવ્ય ભાસ્કરને મળેલી માહિતી પ્રમાણે, 42 વર્ષીય વાજિદ છેલ્લાં એક અઠવાડિયાથી કોરોના પોઝિટિવ હતાં. છેલ્લાં ત્રણ દિવસથી વેન્ટિલેટર પર હતાં. કહેવાય છે કે કોરોનાને કારણે તેમના મલ્ટી ઓર્ગન ફેલ થતાં તેમનું નિધન થયું હતું.
વાજિદને માતાને કારણે ચેપ લાગ્યો
વાજિદ ખાન સુપરસ્ટાર સલમાનની નિકટ હતાં. તેમની ઘણી ફિલ્મમાં સાજિદ-વાજિદે સંગીત આપ્યુંછે. સલમાનના મેનેજર જોર્ડી પટેલે કહ્યુંહતું, વાજિદની માતા કોરોના પોઝિટિવ છે અને તેઓ હોસ્પિટલમાં દાખલ છે. આ જ હોસ્પિટલમાં વાજિદ ખાનને પણ એડમિટ કરવામાં આવ્યા હતાં.
જોર્ડી પટેલે કહ્યું હતું, ‘હાલમાં તો હું તેમના પરિવાર સાથે વાત કરી શક્યો નથી. જોકે, દુઃખની વાત એ છે કે વાજિદની માતા પણ કોવિડ 19 પોઝિટિવ છે. તેઓ પણ એ જ હોસ્પિટલમાં દાખલ છે. જોકે, તેમની તબિયત સુધારા પર છે. વાજિદ કિડનીની તપાસ માટે ત્યાં ગયા હતાં. ત્યારે જ તેઓ કોવિડની ચપેટમાં આવી ગયા.’
પટેલે આગળ કહ્યું હતું, ‘હોસ્પિટલમાં કોવિડના સંપર્કમાં આવ્યા બાદ વાજિદ સીધા વેન્ટિલેટર પર જતા રહ્યાં. કિડનીના પ્રોબ્લેમને કારણે આમ પણ તેમની ઈમ્યૂનિટી ઘણી જ ઓછી હતી. આવામાં કોરોનાવાઈરસ તેમના ફેફસાં સુધી પહોંચી ગયો. જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેમનામાં વાઈરસ સીધો ફેફસાં પર અટેક કરે છે. હાલમાં તેમની માતા હોસ્પિટલમાં જ છે.’
સૌથી પહેલાં રણવીર શૌરીએ દાવો કર્યો હતો
એક્ટર રણીવર શૌરીએ વાજિદ ખાનને શ્રદ્ધાંજલિ આપીને દાવો કર્યો હતો કે તેમનું નિધન કોવિડ 19થી થયું છે. શૌરીએ પોતાની પોસ્ટમાં કહ્યું હતું, ‘હું નાનપણના મિત્રને ગુમાવીને દુઃખી છું. વાજિદ કોવિડ 19 આગળ ઝૂકી ગયા. હું આઘાતમાં છું. વાજિદ મારા ભાઈ તમને તથા તમારા પરિવારને આલિંગન મોકલી રહ્યો છું. આ ઘણું જ દુઃખદ છે.’
Devastated to hear news coming in that one of my childhood friends, music director @wajidkhan7 of Sajid-Wajid has succumbed to #COVID19! Am shocked beyond words! @SajidMusicKhan, mere bhai, sending hugs to you and the family. This is so, so sad. #RIP
— Ranvir Shorey (@RanvirShorey) May 31, 2020
મમતા શર્માએ પણ પુષ્ટિ કરી
સાજિદ-વાજિદની સાથે ‘દબંગ 2’માં ‘ફેવિકોલ’ જેવા ગીતમાં પોતાનો અવાજ આપનાર મમતા શર્માએ પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો કે વાજિદ કોરોના ચેપગ્રસ્ત હતાં. તેણે એક વાતચીતમાં કહ્યું હતું કે વાજિદની માતા પણ કોરોના પોઝિટિવ છે. આથી જ તેઓ દીકરાને અંતિમ વિદાય આપવા આવી શક્યા નહીં.
મમતાનાં મતે, કોઈએ પણ વાજિદની માતાને એ વાત જણાવી નથી કે તેમનો દીકરો હવે આ દુનિયામાં નથી. તેમને આ સાંભળીને આંચકો લાગી શકે છે. મમતાએ દાવો કર્યો હતો કે પરિવારના અન્ય સભ્યો પણ કોરોનાવાઈરસ પોઝિટિવ હોઈ શકે છે. આથી જ વાજિદના અંતિમ સંસ્કાર સમયે પોલીસે ખાસ સતર્કતા દાખવી હતી.
પરિવાર હજી પણ સાચી વાત છુપાવી રહ્યું છે
એક બાજુ હોસ્પિટલ તથા નિકટના સાથીઓ એમ કહી રહ્યાં છે કે વાજિદ તથા તેમની માતા કોરોના પોઝિટિવ છે. તો ખાન પરિવાર હજી પણ આ વાતને છુપાવી રહ્યું છે. વાજિદના કાકાના દીકરા તથા સંગીતકાર અમઝદ નદીમ ખાને કહ્યું હતું, ‘ભાઈનું રવિવાર રાત્રે 1.30 વાગે નિધન થયું હતું. તેઓ બે-ત્રણ દિવસ વેન્ટિલેટર પર હતાં. તેમની માતાની તબિયત સારી છે. તેમનું નામ રઝિયા ખાન છે અને તેઓ 60 વર્ષના છે.’
અમઝદ ખાને આગળ કહ્યું હતું, ‘અમને ખબર નથી કે તેમને શું થયું હતું પણ હોસ્પિટલે જે કહ્યું તે સાચું છે. હવે, આના પર શું કહીએ? ડોક્ટર સાથે કોઈ દલીલ તો કરી શકાય નહીં. જો તેઓ કહી રહ્યાં છે કે તેમને કોવિડ છે તો ઠીક છે. વાત પૂરી થઈ. તે પણ વાજિદ ભાઈની સાથે જ હતી. તેમનું ધ્યાન રાખતી હતી. સુપુર્દ-એ-ખાક સમયે તે વર્સોવા કબ્રસ્તાન આવ્યા હતાં કે નહીં તે મને ખબર નથી. જોકે, ત્યાં એક એમબ્યુલન્સ જરૂર ઊભી હતી.’
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Mhpyr9
https://ift.tt/3gHxijZ