મહારાષ્ટ્ર સરકાર તરફથી ગાઈડલાઈનની સાથે શૂટિંગ કરવાની પરવાનગી આપવામાં આવી છે. જોકે, ફિલ્મ પ્રોડ્યૂસર્સ સપ્ટેમ્બર-ઓક્ટોબરથી કામ શરૂ કરશે. લૉકડાઉનને કારણે અનેક બિગ બજેટ ફિલ્મનું શૂટિંગ અધ વચ્ચે અટકાવી દેવામાં આવ્યું હતું. હાલમાં જ ભાસ્કરને માહિતી મળી હતી કે ગાઈડલાઈન મળ્યાં બાદ પણ અનેક મેકર્સે શૂટિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો નથી.
‘ગુંગબાઈ કાઠિયાવાડી’નું સપ્ટેમ્બર પહેલાં શૂટિંગ શરૂ નહીં થાય
આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ’ સાથે સંકળાયેલા લોકોએ કહ્યું હતું કે સરકારે પરવાનગી આપી હોવા છતાંય પ્રોડક્શન તરફથી હજી એવો કોલ એક્ટર, ડિરેક્ટર, આર્ટ ડિરેક્ટર કે કોઈ પણ ડિપાર્ટમેન્ટને આવ્યો નથી. હજી બધું જ અનિશ્ચિત ચાલે છે. ટેક્નિકલ ક્રૂના સભ્યો પણ પોત-પોતાના ઘરે જતા રહ્યાં છે. તેમના વગર શૂટિંગ કેવી રીતે શરૂ થશે? આ ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બર બાદ જ શરૂ થશે. ફિલ્મમાં અજય દેવગન પણ છે. તેની ફિલ્મ ‘મૈદાન’નું શૂટિંગ બાકી છે. લૉકડાઉન પહેલાં માત્ર આલિયા ભટ્ટના હિસ્સાનું શૂટિંગ થયું હતું. આગામી શિડ્યૂઅલ માટે હજી રાહ જોવામાં આવશે. જૂનમાં વરસાદ શરૂ થઈ જશે. વરસાદ બાદ જ આ અંગે નિર્ણય લેવામાં આવશે.
‘રાધે’ના શૂટિંગ માટે મેકર્સ રાહ જોશે
સલમાન ખાનની ‘રાધે’માં સોંગ શૂટ કરવાનું બાકી છે. ચારથી પાંચ દિવસ આ શૂટિંગ માટે જોઈશે. સલમાનના મેનેજર જોર્ડી પટેલે કહ્યું હતું, ‘હાલમાં આ અંગે કોઈ વાત થઈ નથી. આગામી મહિનામાં પરિસ્થિતિ જોઈને વિચાર કરવામાં આવશે. જ્યાં સુધી રસી નથી આવતી ત્યાં સુધી બિગ સ્ટાર શૂટિંગ માટે આગળ આવશે નહીં. કારણ કે તેમની પર પ્રોડ્યૂસર્સના કરોડો રૂપિયા લાગેલા છે. જો અમે શૂટિંગ શરૂ કરીશું તો સલામતીનું પૂરું ધ્યાન રાખીશું.’
ઓગસ્ટ-સપ્ટેમ્બર પહેલાં શૂટિંગ શરૂ નહીં થાય
પ્રોડ્યૂસર રમેશ તૌરાનીની ત્રણથી ચાર ફિલ્મ જાહેરાતની સાથે તૈયાર છે. જોકે, તેઓ રાહ જોશે. તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું, ‘ડરનો માહોલ તો હજી પણ છે. જોકે, ટીવી એક્ટર, પ્રોડ્યસર તથા ચેનલ શૂટિંગ શરૂ કરવા માટે આતુર છે. તેઓ પૂરી સલામતી સાથે શૂટિંગ કરવાની વાત કરે છે. જોકે, ફિલ્મ ઈન્ડસ્ટ્રી હજી રાહ જોશે. તમામ એક્ટર, ડિરેક્ટર તથા પ્રોડ્યૂસર હાલ થોભો અને રાહ જુઓની નીતિમાં માને છે. મને નથી લાગતું કે ઓગસ્ટ-સપ્ટેમ્બર પહેલાં કોઈ શૂટિંગ શરૂ થાય. જો તે સમયે પણ વરસાદ હશે તો સ્ટૂડિયોની અંદર જ શૂટિંગ થઈ શકશે. એ વાત નકારી શકાય નહીં કે બિગ સ્ટાર વેક્સીન તથા દવા વગર બહાર આવવાના નથી.’
હાલની પરિસ્થિતિનો સ્વીકાર કરતાં સમય લાગશે
જયલલિતા પર બાયોપિક ‘થલાઈવી’ બનાવી રહેલા પ્રોડ્યૂસર શૈલેશ સિંહે કહ્યું હતું, ‘હાલમાં તો અમે પ્રોડ્યૂસર્સ ગિલ્ડ તથા અન્યની ગાઈડલાઈન સમજવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. દરેકમાં ડર છે અને હાલની પરિસ્થિતિને સ્વીકારવામાં સમય લાગશે. શૂટિંગ તો થશે પણ ધીમે ધીમે. બિગ સ્ટાર્સ આવશે કે નહીં તેને લઈને હું કંઈ ના કહી શકું. એ વાત પણ છે કે રસી આવવામાં હજી ઓછામાં ઓછા છથી આઠ મહિનાનો સમય લાગશે પરંતુ મને નથી લાગતું કે દરેક લોકો રસીની રાહ જોતા હોય.’
જે પ્રોડ્યૂસર સાહસ બતાવશે, તે મોટો બની જશે
ડિરેક્ટર પ્રીતીશ નંદીએ કહ્યું હતું, ‘લૉકડાઉન બાદ ઈન્ડસ્ટ્રી બિગ સ્ટાર્સ પર આધારિત રહેશે નહીં. આ ગ્રેટ રાઈટર્સ તથા સમર્થ ડિરેક્ટર દ્વારા ચાલશે. જે પ્રોડ્યૂસર સાહસ બતાવશે, તે મોટો થઈ જશે. જોકે, આપણા બધાની પહેલી પ્રાથમિકતા સલામતી છે. આથી ભલે થોડી રાહ જોવી પડે પરંતુ અમારા બધાનો પગાર રોકાયેલો છે. દરેકને ભાડું આપવાનું છે. આથી બધા જ રાહ જોઈ રહ્યાં છે. પછી સલામતીની થોડી પણ ખાતરી મળશે એટલે અમે તરત કામ શરૂ કરીશું.’
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2zPeoHw
https://ift.tt/2XrOv9o