ટીવી સિરિયલ ‘બેગુસરાય’ ફૅમ એક્ટર રાજેશ કરીરે પોતાના બાળકોના સ્કૂલ ટ્રાન્સફર સર્ટિફિકેટ માટે અરજી કરી છે. તેમણે કહ્યું હતું કે તે આગામી બે ત્રણ દિવસમાં પંજાબ જવાનું વિચારી રહ્યાં છે. જોકે, તેઓ હંમેશાં માટે મુંબઈ છોડશે નહીં. તેમને લાગે છે કે આ ઉંમરે તેઓ નવી કોઈ વાત શીખી શકે તેમ નથી. તેમની ઉંમર 50 વર્ષની છે. વાત કરતાં સમયે રાજેશ એકદમ ઈમોશનલ થઈ ગયા હતાં અને તેમની આંખોમાંથી અશ્રુઓની ધારા વહેવવા લાગી હતી.
હંમેશાં માટે મુંબઈ નહીં છોડે
ન્યૂઝ પેપર હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં રાજેશ કરીરે કહ્યું હતું, ‘આ (મુંબઈ) એ જગ્યા છે, જ્યાં મેં જીવનભર કામ કર્યું છે. આ ઉંમરમાં હવે હું નવી કોઈ વાત શીખી શકું તેમ નથી. મને નિકટના ભવિષ્યમાં પરિસ્થિતિઓ (કોરોનાવાઈરસને કારણે મુંબઈના હાલત) સુધરતી દેખાતી નથી. સારા કામ માટે છ-આઠ મહિના રાહ જોઈ શકું તેમ નથી. આથી જ હું મારા પૈતૃક ગામ જઈશ અને નાનું-મોટું કામ કરીશ. પંજાબી ફિલ્મમાં પણ નસીબ અજમાવીશ. મુંબઈ મારા દિલમાં છે. આથી જ્યારે આ શહેર બોલાવશે ત્યારે પરત આવી જઈશ.’
એક્ટર્સ-ટેક્નિશિયન્સના નોન-પેમેન્ટ ઈશ્યૂ પર પણ વાત કરી
રાજેશ કરીરે કહ્યું હતુ, ‘મારી પાસે થોડાં મહિના પહેલાં એક રૂપિયો નહોતો અને મેં જોયું કે પ્રોડ્યૂસર્સ તેમના શોમાં કામ કરતાં એક્ટર્સ તથા ટેક્નિશિયન્સને તેમની બાકીની રકમ ચૂકવવા તૈયાર નથી. જેમનું બેંક બેલેન્સ એક કરોડ રૂપિયા છે, તેમને વાંધો આવે તેમ નથી. જોકે, અમારા જેવા લોકોનું શું?’
સો.મીડિયા પર મદદ કેમ માગી?
રાજેશ કરીરને પૂછવામાં આવ્યું કે તેમણે સોશિયલ મીડિયામાં મદદ માટે કેમ અપીલ કરી તો તેમણે કહ્યું હતું કે લોકો પૈસા આપતા નહોતાં. એક-અક વર્ષ થઈ જાય પરંતુ બે દિવસનું પેમેન્ટ મળતું નથી. આ પરિસ્થિતિમાં શું કરવું? બેકગ્રાઉન્ડ મજબૂત હોય અથવા તો નિયમિત કામ મળતું હોય તેને વાંધો ના આવે. તેમને 30 જુલાઈ, 2019 પછી એક દિવસ કામ મળ્યું નથી. 11 મહિના કામ વગર ઘર કેમ ચલાવવું? એક જ ઓપ્શન હતો કે લોકો પાસે મદદ માગું અથવા તો શરમથી મરી જાઉં. તેમણે જીવવાનો નિર્ણય કર્યો અને લોકોએ તેમને સમર્થન પણ આપ્યું.
વાત કરતાં રડી પડ્યાં
વાતચીતમાં રાજેશ એ વાત કરતાં રડી પડ્યાં કે જો મોતની પસંદગી કરી હોત તો તેમના બાળકો તથા પરિવાર માટે જીવવું મુશ્કેલીભર્યું બની જાત. તેમણે કહ્યું હતું કે આ રીતે ખુલીને બધા પાસે મદદ માગવી સરળ નહોતી. પોતાની જાતને મારવી પડી હતી.
પંજાબી ફિલ્મમાં કામ મળે તેવી આશા
રાજેશ કરીર સ્વીકારે છે કે તેમને એક્ટિંગ સિવાય કંઈ જ આવડતું નથી. છેલ્લાં ઘણાં વર્ષોથી તે આ જ કરતાં આવ્યા છે. હાલમાં 50 વર્ષ થયા છે અને બીજું કંઈ કરી શકે તેમ નથી. જો કોઈ તેમને લાખ રૂપિયા આપીને ખુરશી પર બેસવાની વાત કરે તો તે આ કરી શકે નહીં. તેમને આની બિલકુલ આદત નથી.
દીકરાની જાહેરાતથી છેલ્લે કમાણી થઈ હતી
રાજેશે પરિવારની છેલ્લી કમાણી અંગે વાત કરી હતી. તેમના દીકરાએ એક જાહેરાતમાં સચિન તેંડુલકર સાથે કામ કર્યું હતું. તેમનો દીકરો જાહેરાતમાં કામ કરવા ઉત્સુક હતો. તેની સાથે બીજા પાંચથી છ બાળકો પણ હતાં. અત્યારે તે માત્ર 11 વર્ષનો છે. જાહેરાતમાં કામ કરવા બદલ તેને જે પૈસા મળ્યા તે જ પરિવારની છેલ્લી કમાણી હતી.
સોનુ સૂદે ફોન કર્યો હતો
વધુમાં રાજેશે કહ્યું હતું કે સોનુ સૂદે તેમને ફોન કર્યો હતો. તે ઘણાં લોકોની મદદ કરી રહ્યો છે. તેને ખ્યાલ છે કે આ પરિસ્થિતિમાં શહેરમાં સર્વાઈવ કરવું કેટલું મુશ્કેલ છે. તેમને ખબર નથી કે ક્યારે કામ મળવાની શરૂઆત થશે.
બીજી જૂને વીડિયો વાઈરલ થયો હતો
બીજી જૂને સોશિયલ મીડિયામાં રાજેશ કરીરનો વીડિયો વાઈરલ થયો હતો. તેમણે કહ્યું હતું કે તેમની ઘરની પરિસ્થિતિ નાજુક છે. વીડિયોમાં તેમણે 300, 400 તથા 500 રૂપિયાની મદદ માગી હતી. તેમણે કહ્યું હતું કે આ પૈસાથી તેઓ પરિવાર સાથે પંજાબ જવા ઈચ્છે છે.
ઓન સ્ક્રીન દીકરીએ મદદ કરી
આ વીડિયો જોયા બાદ ‘બેગુસરાય’માં રાજેશ કરીરની દીકરીની ભૂમિકા ભજવનાર એક્ટ્રેસ શિવાંગી જોષીએ દસ હજાર રૂપિયાની મદદ કરી હતી. અન્ય લોકોએ પણ અકાઉન્ટમાં પૈસા નાખ્યા હતાં. ત્યારબાદ કરીરે એક વીડિયો શૅર કરીને કહ્યું હતું કે હવે તેમના ખાતામાં પૈસા જમા ના કરાવવામાં આવે. તેમના ખાતામાં પૂરતી રકમ જમા થઈ ગઈ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3h3nXDj
https://ift.tt/37bVwhX