ફિલ્મમાં નારદની ભૂમિકા ભજવનાર જીવણની આજે (10 જૂન) 33મી ડેથ એનિવર્સરી છે. દિવ્ય ભાસ્કરે આ પ્રસંગે જીવણના દીકરા કિરણ કુમાર સાથે ખાસ વાત કરી હતી. કિરણ કુમારે પિતાને યાદ કરીને તેમના જીવનના કેટલાંક કિસ્સા શૅર કર્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે જીવણનું સાચું નામ ઓનકારનાથ ધર હતું. તેઓ કાશ્મીરી પંડિત હતાં. 24 ઓક્ટોબર, 1915માં જન્મેલા જીવણનું નિધન 10 જૂન, 1987માં થયું હતું. તેમણે કહ્યું હતું કે જો તે એક્ટર ના હોત તો ફોટોગ્રાફર તરીકે કામ કરતા હોત.
પિતાજીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો
કિરણ કુમારના મતે, ‘મારા પિતાજીના નામ પર એક જ પાત્ર સૌથી વધુ વાર ફિલ્મમાં પ્લે કરવાનો રેકોર્ડ નોંધાયેલો છે. તેમણે 61 ફિલ્મમાં નારદ મુનિનો રોલ પ્લે કર્યો હતો. તેમનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. હવે તો કોઈ નારદ મુનિની કલ્પના પણ કરે તો મારા પિતાજીનો જ ચહેરો નજર સામે આવે છે. પિતાજી કહેતા કે મેં એટલીવાર નારાયણ નારાયણનો જાપ કર્યો છે કે જો જીવનમાં ભૂલથી પણ કોઈ પાપ કર્યાં હશે તે બધા ધોવાઈ ગયા હશે.’
નારદનો રોલ પ્લે કરતી વખતે નોનવેજ ખાવાનું છોડી દેતા
વધુમાં કિરણે કહ્યું હતું, ‘જ્યારે પણ નારદમુનિનું શૂટિંગ શરૂ થતું ત્યારે મારા પિતાજી શુદ્ધ શાકાહારી બની જતા. તે માંસ-મચ્છી ખાતા નહોતાં અને દારૂ પણ પીતા નહોતાં. હું તેમને પૂછતો કે તે કેમ આવું કરે છે? તો તેઓ કહેતા કે આ મારી તૈયારી છે. સેટ પર ઊભા રહીને જ્યારે હું નારાયણ નારાયણનો જાપ કરું તો મારી અંદર માંસાહર કે કંઈ જ ના હોવું જોઈએ. આ પાત્ર હું શ્રદ્ધા તથા આસ્થા સાથે કરું છું.’
પિતાજીની સાથે શૂટિંગ જોવા જતો
કિરણ કુમારે કહ્યું હતું, ‘આર કે સ્ટૂડિયોની બાજુમાં વંસત પિક્સ સ્ટૂડિયો હતો. અહીંયા ધાર્મિક ફિલ્મનું શૂટિંગ થતું. તે સમયે બાબુભાઈ જાણીતા પ્રોડ્યૂસર તથા ડિરેક્ટર હતાં. તેઓ ધાર્મિક ફિલ્મના કિંગ કહેવાતા હતાં. નાનપણમાં હું પિતાજીની સાથે સેટ પર જતો. એક બાજુ આકાશમાંથી હનુમાનજી ઉડીને આવી તો બીજી બાજુથી રાક્ષસ આવતા હોય. દેવતાગણ તથા રાક્ષસોની વચ્ચેનો વાર્તાલાપ તથા લડાઈ મને બહુ જ ગમતી હતી.’
પિતાજી પૂરી રીતે ફેમિલી મેન હતાં
એક્ટરે આગળ કહ્યું હતું, ‘જ્યારે તેઓ ઘરમાં રહેતા ત્યારે તે પિતા તરીકે જ રહેતા. તેમનામાં એક્ટર હોવાનું કોઈ અભિમાન જોવા મળે નહીં. રવિવારે અમારી સાથે ક્રિકેટ રમતાં, સાયકલ ચલાવતા. અમે મહાલક્ષ્મી મંદિર, સિદ્ધિવિનાયક મંદિર તથા હાજી અલી જતાં. પિતાજી બહુ જ ધાર્મિક હતાં. તેમણે ઘરની જવાબદારી મારી માતાને આપી દીધી હતી. તેઓ ફેમિલી મેન હતાં. સારા પિતા હોવાની સાથે સારા મિત્ર પણ હતાં. સંબંધોને ઘણી જ સહજતાથી નિભાવતા હતાં.’
પિતાજીની ઈમેજની મારા પર અસર થઈ
‘મારા સૌથી સારા મિત્ર પિતાજી જ હતાં. અમારા સંબંધો પિતા-પુત્ર કરતાં વિશેષ હતાં. તેમની મારા પર અસર હતી. તેઓ એક સારા કલાકાર હતાં. એક તરફ નારદ તો બીજી તરફ મુનીમ તો ક્યારેક એક્ટર-એક્ટ્રેસના પિતા તો ક્યારેય વિલન પણ બની જતાં. ક્યારેક કોમેડી પણ કરી લેતા. તેમણે દરેક રોલ ભજવ્યો છે અને તમામ રોલ સારી રીતે પ્લે કર્યાં હતાં. તેઓ કમ્પ્લિટ એક્ટર હતાં.’
તે સમયે બધાની પોત-પોતાની સ્ટાઈલ રહેતી
‘તે સમયમાં કન્હૈયાલાલ અંકલ, અજીત અંકલ, પ્રાણ સાહેબ, દિલીપ સાહેબ, દેવ સાહેબ તમામ એક્ટર્સની પોતાની એક સ્ટાઈલ હતી. આજે નેચરલ એક્ટિંગની વાત થાય છે. જોકે, તે સમયે ઓવર ધ ક્રાફ્ટ એક્ટિંગ કરવી પડતી. પછી ઓડિયન્સ તમને આઈડેન્ટિફાઈ કરતી હતી. પિતાજીની જે પ્રકારની ઈમેજ હતી, તેની મારા જીવન પર ઘેરી અસર પડી છે. મેં તે સમયે સેટથી લઈને સ્ક્રિન સુધી જોયું છે કે એક્ટર પોતાના કામ પ્રત્યે કેટલી શ્રદ્ધા તથા પેશન છે.’
તે સમયે એક્ટર્સ માત્ર એક્ટિંગ કરતાં
કિરણ કુમારે વધુમાં કહ્યું હતું, ‘આજકાલ અમે એક્ટર અમારું જીવન જીવીએ છીએ. શૂટિંગ કરીએ છીએ અને પછી અમારા ઘરે જતા રહીએ છીએ. બધા જ પોતાના સુખ-દુઃખમાં વ્યસ્ત છે. આ યોગ્ય છે. આજે એક્ટિંગ એ બિઝનેસ બની ગઈ છે. બધાએ પોત-પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કરી દીધું છે. તે સમયના એક્ટર માત્ર એક્ટિંગ જ કરતાં હતાં. એક્ટર્સની વચ્ચે કમાલની મિત્રતા જોવા મળતી.’
ગજબની મિત્રતા રહેતી
‘મને યાદ છે કે રવિવારે મ્યૂઝિક ડિરેક્ટર નૌશદ સાહેબના ઘરે બધા બેડમિન્ટન રમવા ભેગા થતાં હતાં. ત્યાં દિલીપ અંકલ, જૉની અંકલ, અજીત સાહેબ વગેરે રહેતા. બધા સાથે બેસીને ચા-નાસ્તો કરતાં અને ત્યાં જ બેસીને નક્કી કરતાં કે સાંજે કોના ત્યાં ભેગા થવાનું છે. ભોજનમાં શું બનશે. તે દિવસોમાં ગજબની મિત્રતા રહેતી. એકબીજાની ચિંતા પણ કરતાં. તેઓ એકબીજાના કામની જ નહીં પણ જીવનની પણ પરવા કરતાં.’
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/37m2pgH
https://ift.tt/30pfDYN