સુશાંત સિંહ રાજપૂત તથા શત્રુધ્ન સિંહા અનેક બાબતોમાં એક જેવા છે. બંને બિહારના છે અને સેલ્ફમેડ સ્ટાર્સ છે. સુશાંતના નિધનથી શત્રુધ્ન સિંહાને ઘણો જ આઘાત લાગ્યો હતો. શત્રુધ્ન સિંહાએ કહ્યું હતું કે સુશાંતે પોતાની મુશ્કેલીઓનો ખુલીને સામનો કરવાની જરૂર હતી. દિવ્ય ભાસ્કરને આપેલા ઈન્ટરવ્યૂમાં શત્રુધ્ને સુશાંત તથા નેપોટિઝ્મ વિવાદ પર વાત કરી હતી.
અમારી અનેક વાતો એકબીજાને મળતી હતી
આવો દુઃખદ સમય આ પહેલાં ક્યારેય જોયો નથી. અમારી વચ્ચે ઘણી સમાનતા રહી હતી. અમે બિહારથી છીએ. પરિવારમાં તે નાનો દીકરો હતો અને હું પણ નાનો દીકરો રહ્યો છું. હું પણ ભગવાનના આશીર્વાદથી સેલ્ફમેડ એક્ટર કહેવાઉં છું અને તે પણ એ જ રાહ પર હતો. જે રીતે તે ઈન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે તેના કોઈ ગોડફાધર નહોતા. તે સંસ્કારી હતો. બહુ જ સારો સ્ટાર હતો. તેની અંદર હજી સારા સ્ટાર બનવાની સંભાવના હતી અને તે બહુ ભણેલો-ગણેલો હતો.
પહેલી મુલાકાતમાં સુશાંતે ઈમ્પ્રેસ કર્યો હતો
મારી વ્યક્તિગત રીતે તેની સાથે મુલાકાત તથા ઓળખાણ ઓછી હતી. તેની સાથે માત્ર એક વાર મુલાકાત થઈ હતી. જ્યારે તે મળવા આવ્યો ત્યારે તેણે મને પ્રભાવિત કર્યો હતો. તે બહુ જ પ્રેમ તથા આદર સાથે મળ્યો હતો. તે મારી દીકરી સોનાક્ષીને ઘણાં ફંક્શનમાં મળ્યો હતો.
સારો કલાકાર હતો
હું તેની બહુ જ કદર કરું છું. મને ખ્યાલ હતો કે આ છોકરોને લોકોનો સાથ, સહયોગ તથા આશીર્વાદ મળ્યાં તો તે એક દિવસ બહુ મોટો સ્ટાર બનશે. સારો કલાકાર તો હતો જ. સારું વ્યક્તિત્વ, સારી ઈમેજ અને સારો વ્યક્તિ હતો.
અવાજ ઉઠાવ્યો હોત તો સમર્થન મળ્યું હોત
જો તેને કોઈ પ્રોબ્લેમ હતાં તો તે બિહારી હતો. બહુ જ ખુદ્દાર હતો, જેવી રીતે હું અહીંયા છું. તે ખુલીને દમદાર રીતે સામે કેમ ના આવ્યો? આજે તેને આટલા લોકોનું સમર્થન મળી રહ્યું છે તો કાલે પણ તેને બહુ બધા લોકોનું સમર્થન મળત. એકવાર તેણે ખુલીને સામે આવવાની જરૂર હતી. મને સુશાંત બહુ જ ખુદ્દાર તથા સ્વાભિમાની લાગ્યો હતો. જો પ્રોબ્લેમ કે મુશ્કેલી હતી, કેટલાંક લોકો મુસીબતનું કારણ બન્યાં તો તેણે તે સમયે ખુલીને સામે આવવાની જરૂર હતી અને મજબૂતાઈથી આ બધાનો સામનો કરવો જોઈતો હતો.
હું પણ ચાર દિવસ ભૂખ્યો રહ્યો હતો
આ ઉંમરમાં આ રીતે ડરવા લાગે તો પછી ધર્મેન્દ્ર હોય, હું કે પછી અમિતાભ બચ્ચન અથવા બહુ બધા લોકો છે, તેમણે તો સો-સો વાર કંઈને કંઈ કરી લેવા જેવું હતું. શું અમે લોકોએ ઓછી મુસીબત જોઈ છે? વધારે નહીં તો ઓછી પણ જોઈ નથી. ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, રાજેન્દ્ર કુમાર કે મને જ જોઈ લો, અમે સંઘર્ષનો સામનો કર્યો છે. અમારામાંથી તો ઘણાં લોકો ત્રણ-ત્રણ દિવસ ચાર-ચાર દિવસ સુધી ભૂખ્યાં રહ્યાં હતાં. આ તો તોય ભાગ્યશાળી છોકરો હતો.
ગુરુદત્ત સાહેબે પણ સુસાઈડ કરીને ખોટું કર્યું હતું
ગુરુદત્ત સાહેબ હતાં, હું કહીશ તેમણે પણ ખોટું કર્યું હતું. તેમણે ભલે ગમે તે કારણોએ કર્યું હોય. આટલા મહાન ફિલ્મમેકર જો સુસાઈડ કરે ત્યારે પણ લોકોએ તેમને ખોટાં ઠેરવ્યાં હતાં. જોકે, તે તો પોતાનું પૂરું જીવન જીવી ચૂક્યાં હતાં. આના તો જીવનની શરૂઆત હતી. આ તો યોગ્ય રીતે જીવન જીવવાની ઉંમર હતી. આ મરવાની ઉંમર નહોતી.
બિહારનો દીકરો ના રહ્યો
તેના તથા તેના પરિવાર પ્રત્યે શ્રદ્ધાંજલિ તથા સંવેદના છે. આ વાતોની શોધખોળ કરવાથી કોઈ ખાસ લાભ થશે નહીં, કારણ કે જવાવાળો તો જતો રહ્યો. આપણો પોતાનો સુશાંત સિંહ રાજપૂત, સન ઓફ સોઈલ, બિહારનો દીકરો, પટનાનો લાડલો અને બધી જ રીતે પૂર્ણ ભારતીય. આખા ભારતમાંથી તેને લોકોનો પ્રેમ મળ્યો. તેમના કારણે જ તેણે આ સ્થાન મેળવ્યું હતું. સાચી રીતે તે ભારતીય હિન્દુસ્તાની આજે આપણી વચ્ચે નથી.
જીવન જીવવાની કળા આવડવી જોઈએ
હું ઈચ્છીશ કે યોગ્ય રીતે સ્વાભિમાન સાથે જીવવું જોઈએ અને જો મુશ્કેલી છે તો બાકી લોકોનું સમર્થન લો અને બાકી લોકોને અંદરથી જગાડો. પોતાની અંદર તે શક્તિ ઉત્પન્ન કરો અને યોગ્ય રીતે જીવન જીવવાનો અંદાજ શીખો. આ વાત હું યંગ જનરેશન માટે કહી રહ્યો છું. આ પ્રકારે ડરીને કે પછી સમસ્યાઓથી ડરીને આવું પગલું ભરવું જોઈએ નહીં. મુશ્કેલીઓ ક્યારેકને ક્યારેક બધાના જીવનમાં આવતી હોય છે. પછી તે રાજા હોય કે રંક હોય, દુઃખ બધાના જીવનમાં હોય છે. કોઈને લાઈફનું તો કોઈને વાઈફનું તો કોઈને હેલ્થનું તો કોઈને વેલ્થનું. કોઈ એવી વ્યક્તિ નહીં હોય જેને કોઈ મુશ્કેલી ના હોય, આથી જ જીવવાની કળા આવડવી જોઈએ.
શું પહેલાં પણ બોલિવૂડમાં નેપોટિઝ્મ હતું?
ભાઈ-ભત્રીજાવાદની વાત તદ્દન વાહિયાત છે. રાજ કપૂરે પોતાના ટેલેન્ટેડ દીકરા રિશી કપૂરને તક આપી પરંતુ તે કોઈ નેપોટિઝ્મ નહોતું. તેમને લાગ્યું કે તે રોલ માટે યોગ્ય છે, ત્યારે તેની ટેલેન્ટને જોઈને તક આપી હતી. પછી તેમણે પોતાની ટેલેન્ટને સાબિત પણ કરી હતી. ભાઈ-ભત્રીજાવાદ હોત તો રાજેન્દ્ર કુમાર સાહેબનો દીકરા કુમાર ગૌરવની ‘લવ સ્ટોરી’ હિટ રહી હતી પરંતુ ત્યારબાદ કુમાર ગૌરવને જે સ્થાન મળવું જોઈએ તે ક્યારેય મળ્યું નથી.
સોનાક્ષીની પાસે સલમાન જાતે આવ્યો હતો
એકવાર તક મળી શકે છે પરંતુ સ્ટારને પાસ કે નાપાસ તો જનતા જનાર્દન જ કરે છે. જો તમારો ઈશારો મારી દીકરી સોનાક્ષી તરફ હોય તો અમારા ફેમિલી ફ્રેન્ડ સલમાન તથા તે લોકો સામે આવ્યા હતાં. સોનાક્ષી તો ફિલ્મ લાઈનમાં આવવા જ નહોતી માગતી. કોઈ ફેશન શો ચાલતો હતો અને ત્યાં તે કામ કરતી હતી. અહીંયા સલમાનના પરિવારે તેને જોઈ હતી. ઘરે પણ સલમાનના પરિવારે અનેકવાર સોનાક્ષીને જોઈ હતી. તે તો બિચારા પ્રેમ તથા સન્માન સાથે અમારી પાસે આવ્યા હતાં. સલમાને કહ્યું હતું કે ‘દબંગ’ જોયા બાદ બધા લોકો એમ કહેશે કે આવી દીકરી, બહેન તથા વહુ દરેકને હોય. કહેવા એટલું જ માગું છું કે સલમાને ઘણાં એક્ટર-એક્ટ્રેસિસને તક આપી છે. બધા તો હિટ થયા નથી. સોનાક્ષીને પાસ કરી અને સુપરસ્ટાર બનાવી તે તો આ દેશની જનતાએ બનાવી છે ને!
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/37Gt0VX
https://ift.tt/2YQdfrH