સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડ બાદથી બોલિવૂડમાં નેપોટિઝ્મ તથા કેમ્પબાજીને લઈ ચર્ચાઓ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર જાણીતા પ્રોડક્શન હાઉસ, તેમના માલિક તથા સ્ટાર કિડ્સ વગેરેને સતત ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. તેમની પોસ્ટ પર કમેન્ટ્સ કરીને તેમને એ વાત યાદ અપાવવામાં આવી રહી છે કે સુશાંતે આવા લોકોને કારણે આત્મહત્યા જેવું પગલું ભર્યું હતું.
આ મુદ્દે એ હદે ગરમાયો કે બોલિવૂડના અડધો ડઝન સેલેબ્સે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં કમેન્ટ સેક્શન સામાન્ય લોકો માટે લૉક કરી દીધું છે. કરન જોહર તથા તેના કેમ્પ સાથે જોડાયેલા આલિયા ભટ્ટ, કરીના કપૂર, સોનમ કપૂર, સોનાક્ષી સિંહા, અનન્યા પાંડે તથા શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન સામેલ છે. આ સેલેબ્સની પોસ્ટ પર હવે માત્ર ક્લોઝ ફ્રેન્ડ જ કમેન્ટ કરી શકશે.
સોનમ કપૂરે કમેન્ટ લૉક કરવાની શરૂઆત કરી હતી
સૌ પહેલાં સોનમ કપૂરે પોતાના કમેન્ટ સેક્શનને લૉક કર્યું હતું. સોનમ કપૂરે સુશાંતના નિધન બાદ તેને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ લખી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા યુઝર્સે સોનમને ‘કૉફી વિથ કરન’ના એક એપિસોડની યાદ અપાવીને તેને ટ્રોલ કરી હતી. આ એપિસોડમાં સોનમ કપૂરે સુશાંતની મજાક ઉડાવી હતી અને કહ્યું હતું કે તે તેને ઓળખતી પણ નથી.
આટલું જ નહીં સોનમે એક નિવેદનમાં એવું કહ્યું હતું કે કોઈના નિધન માટે તેની ગર્લફ્રેન્ડ, એક્સ ગર્લફ્રેન્ડ, ફેમિલી કે સાથીઓને દોષ આપવો અજ્ઞાનતા છે. આ વાતને કારણે સોનમને ઘણી જ ટ્રોલ કરવામાં આવી હતી. અંતે, સોનમે પોતાનું કમેન્ટ સેક્શન લૉક કરી દીધું અને ઈન્સ્ટા સ્ટોરીમાં આ અંગેની માહિતી આપી હતી.
શું કહ્યું હતું સોનમે?
‘મિત્રો, સામાન્ય રીતે નફરત તથા નેગેટિવિટીથી હું ગભરાઈને ભાગતી નથી, કારણ કે જેમના મનમાં વધુ નફરત હોય છે, તેવા લોકોની મને દયા આવે છે. આ મારા માટે નહીં પણ તેમના માટે નુકસાનકારક છે. જોકે, આ મારા પરિવાર તથા મિત્રોને ટ્રિગર કરે છે.’
‘મને ખ્યાલ છે કે તેઓ પેડ છે અને એક એજન્ડા હેઠળ કામ કરે છે પરંતુ હાલમાં સીમા પર શહીદ થયેલા સૈનિકો તથા લૉકડાઉનથી પ્રભાવિત લોકો માટે બોલવાનો સમય છે. આથી હું મારી કમેન્ટ્સ બંધ કરી રહી છું.’
કંગનાના નિવેદન બાદ નેપોટિઝ્મનો મુદ્દો ઉઠાવ્યો
14 જૂને સુશાંત સિંહ રાજપૂતે મુંબઈમાં આત્મહત્યા કરી હતી. કહેવાય છે કે સુશાંતે ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી હતી. કંગનાએ સુશાંતની આત્મહત્યા માટે કરન જોહરને જવાબદાર ગણાવ્યો હતો. કંગનાએ કરન પર નેપોટિઝ્મને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ મૂક્યો હતો. ત્યારબાદ શેખર કપૂર, અનુભવ કશ્યપ, અભય દેઓલ, કોએના મિત્રા, રવીના ટંડન જેવા સેલેબ્સે સામે આવીને બોલિવૂડના કેમ્પની વાત કરી હતી. સોશિયલ મીડિયામાં ઘણાં બધા યુઝર્સે આ સ્ટાર્સને સપોર્ટ કર્યો હતો.
કરન જોહર, આદિત્ય ચોપરા, એકતા કપૂર, સંજય લીલા ભણશાલી, સલમાન ખાન તથા સાજિદ નડિયાદવાલા જેવા લોકોને નેપોટિઝ્મ તથા કેમ્પ માટે જવાબદાર ગણાવ્યા હતાં અને સ્ટાર કિડ્સને પણ નિશાને લીધા હતાં.
પછી ટ્વિટર ડિલીટ કરવાનું શરૂ થયું
મામલો વધુ ગંભીર બનતા કરન જોહરે ટ્વિટર પર માત્ર આઠ લોકો (અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, શાહરુખ ખાન, વડાપ્રધાન મોદી તથા ચાર ઓફિસ મેમ્બર્સ)ને જ ફોલો કરવાનું શરૂ કર્યું અને બાકી બધાને અનફોલો કરી દીધા હતાં. સોનાક્ષી સિંહાએ ટ્વિટર પર ડિએક્ટિવેટ થવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ સલમાન ખાનના કેમ્પ સાથે જોડાયેલ અન્ય સેલેબ્સ આયુષ શર્મા, સાકિબ સલીમ તથા ઝહીર ઈકબાલે ટ્વિટર પર ડિએક્ટિવેટ થયાની જાહેરાત કરી હતી. પ્રોડ્યૂસર મુદસ્સર અઝીઝે ઈન્સ્ટાગ્રામને ગુડબાય કહી દીધું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31573i8
https://ift.tt/3dmYzFH