સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી જ બોલિવૂડમાં નેપોટિઝ્મ પર વિવાદ થયો છે. સોશિયલ મીડિયામાં ઈનસાઈડર્સ તથા આઉટસાઈડર્સને લઈ ચર્ચાઓ થઈ રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ માની રહ્યાં છે કે નેપોટિઝ્મને કારણે જ સુશાંતે આત્મહત્યા જેવું પગલું ભર્યું હતું. હવે, આ ચર્ચામાં સ્વર્ગીય એક્ટર ઈન્દર કુમારની પત્ની પલ્લવીએ એક પોસ્ટ શૅર કરી હતી અને તેણે કરન જોહર તથા શાહરુખ ખાન પર આક્ષેપો કર્યાં હતાં.
પલ્લવીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શૅર કરી
પલ્લવીએ ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શૅર કરી હતી. પલ્લવીએ બોલિવૂડ દિગ્ગજ શાહરુખ ખાન તથા કરન જોહર પર આક્ષેપ કર્યો હતો કે તેમણે તેના પતિને કામને લઈને ખોટી આશા બંધાવી હતી. પલ્લવીએ એમ પણ કહ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતની જેમ જ તેના પતિએ પોતાની મેળે સફળતા મેળવી હતી. જ્યારે તેના પતિએ બોલિવૂડના બે લોકો પાસે કામ માગ્યું ત્યારે તેમણે તેની મદદ તો ના કરી પરંતુ તેનો નંબર બ્લોક કરી દીધો હતો.
શું કહ્યું પલ્લવીએ?
પલ્લવીએ કહ્યું હતું, ‘આજકાલ તમામ લોકો નેપોટિઝ્મને લઈ વાતો કરી રહ્યાં છે. સુશાંત સિંહ રાજપૂતની જેમ જ મારા સ્વર્ગીય પતિ ઈન્દર કુમારે પણ આપબળે લોકપ્રિયતા મેળવી હતી. 90ના દાયકામાં તેઓ સફળ હતાં. તેમનું અવસાન થયું તે પહેલાં તે બોલિવૂડના બે દિગ્ગજ પાસે કામની મદદ માટે ગયા હતાં. જોકે, આ સમયે તેઓ નાના પ્રોજેક્ટ્સમાં તો કામ કરતાં જ હતાં પરંતુ તેમણે કરિયરની શરૂઆત બિગ મૂવીથી કરી હતી અને તેઓ હવે બિગ મૂવીમાં કામ કરવા માગતા હતાં. તે પહેલાં કરન જોહર પાસે ગયા હતાં. આ સમયે હું તેમની સાથે હતી અને બધું જ મારી નજરની સામે બન્યું હતું. તેમણે અમને બે કલાક સુધી રાહ જોવડાવી હતી. ત્યારબાદ તેની મેનેજર ગરીમા આવી અને કહ્યું કે કરન બહુ જ વ્યસ્ત છે. જોકે, અમે તો પણ રાહ જોઈ હતી અને જ્યારે કરન આવ્યો ત્યારે તેણે ઈન્દરને એટલું જ કહ્યું હતું કે ગરીમા સાથે સંપર્કમાં રહેજે અને હાલમાં તારા માટે કોઈ કામ નથી. ઈન્દર મેનેજર ગરીમા સાથે 15 દિવસ સુધી સંપર્કમાં રહ્યો હતો. ગરીમા દર વખતે ફોનમાં એ જ કહેતી કે હાલમાં કોઈ કામ નથી. ત્યારબાદ ઈન્દરનો નંબર બ્લોક કરી દેવામાં આવ્યો હતો.’
શાહરુખે પણ આવું જ કર્યું
પલ્લવીએ ત્યારબાદ શાહરુખ ખાનને લઈને વાત કરી હતી. પલ્લવીએ કહ્યું હતું, ‘ઈન્દર સાથે આવું જ વર્તન શાહરુખ ખાને પણ કર્યું હતું. ઈન્દર એક્ટર શાહરુખને મળ્યો હતો અને તેણે કહ્યું હતું કે તે અઠવાડિયામાં તેને ફોન કરશે. હાલમાં કોઈ કામ નથી. આ બધું જ ફિલ્મ ‘ઝીરો’ના સેટ પર બન્યું હતું. ત્યારબાદ શાહરુખે પોતાની મેનેજર પૂજા સાથે સંપર્કમાં રહેવાનું કહ્યું હતું. પૂજાએ પણ જે ગરીમાએ કર્યું તેવું જ વર્તન કર્યું હતું. તમે કલ્પના તો કરો અને વિશ્વાસ કરો કે બે મોટા પ્રોડક્શન હાઉસ પાસે કોઈ કામ નથી. કરન જોહરે અનેકવાર કહ્યું છે કે તે સ્ટાર્સ સાથે કામ કરે છે અને મારા પતિ પણ સ્ટાર હતાં. આજે પણ ચાહકો તેમના કામને યાદ કરે છે.’
ટેલેન્ટ હોય તો કેમ કામ ના આપે?
પલ્લવીએ પોતાની પોસ્ટમાં છેલ્લે સવાલ કર્યો હતો કે શા માટે બોલિવૂડના ટોચના લોકોને ટેલેન્ટેડ વ્યક્તિઓને કામ આપવામાં મુશ્કેલી છે. પલ્લવીએ કહ્યું હતું, ‘દિગ્ગજોને ટેલેન્ટેડ લોકોને મદદ કરવામાં શા માટે મુશ્કેલી છે? તેમને શેનો ડર લાગે છે? અથવા તો આપણે એમ કહીએ કે તેઓ સારા માણસ નથી અને સારા હોવાનો ઢોંગ કરે છે. નેપોટિઝ્મ બંધ થવું જ જોઈએ. લોકો મરી રહ્યાં છે અને આ દિગ્ગજો હજી પણ તેની અસર સમજતા નથી. સરકારે આવા લોકો વિરુદ્ધ આકરા પગલાં લેવાની જરૂર છે.’
ઉલ્લેખનીય છે કે ઈન્દર કુમારે ફિલ્મ ‘માસૂમ’થી કરિયરની શરૂઆત કરી હતી અને 90ના દાયકામાં તે સફળ એક્ટર હતો. ઈન્દર કુમારે ટીવી શો જેવા કે ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’માં મિહિરનો રોલ પ્લે કર્યો હતો. વર્ષ 2017માં 28 જુલાઈએ 44 વર્ષીય ઈન્દર કુમારનુંકાર્ડિએક અરેસ્ટને કારણે નિધન થયું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3hVH2Yz
https://ift.tt/3dwQpue