સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સતત નેપોટિઝ્મ તથા કેમ્પબાજીને લઈ ચર્ચાઓ થઈ રહી છે. સોશિયલ મીડિયા યુઝરની સાથે ઘણાં બોલિવૂડ સેલેબ્સ પણ જાહેરમાં એમ સ્વીકારી રહ્યાં છે કે સુશાંત ઈન્ડસ્ટ્રીમાં ચાલતા ભેદભાવને કારણે ડિપ્રેશનમાં આવી ગયો હતો અને તેને કારણે આત્મહત્યા કરવા મજબૂર થયો હતો.
શરૂઆતથી જ નેપોટિઝ્મને લઈ આકરી પ્રતિક્રિયા આપનાર અભય દેઓલે આ વાત પર દુઃખ પ્રગટ કર્યું છે કે લોકો જાગવા માટે કોઈના નિધનની રાહ જુએ છે.
સુશાંતના નિધને બોલવા માટે પ્રેરિત કર્યોઃ અભય
હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં અભય દેઓલે કહ્યું હતું, ‘સુશાંતના નિધને મને બોલવા માટે પ્રેરિત કર્યો છે પરંતુ હું પહેલીવાર અવાજ ઉઠાવી રહ્યો નથી. પહેલાં પણ જરૂરી મુદ્દાઓ ઉઠાવ્યાં હતાં. મને અફસોસ છે કે તમામ લોકો કોઈના અવસાન બાદ જ જાગે છે.’
જોકે, અભયે આ વાત પર આનંદ વ્યક્ત કર્યો હતો કે લોકો હવે આ મુદ્દે ધ્યાન આપી રહ્યાં છે અને સાંભળવા ઈચ્છે છે. અભયે કહ્યું હતું, ‘લોકો હવે પરિવર્તનની વાત કરી રહ્યાં છે. માત્ર ઈન્ડસ્ટ્રીની બહાર જ નહીં અંદર પણ. કેટલી સારી વાત છે કે આજે એક્ટર્સ ખુલીને બોલી રહ્યાં છે. હું ચૂપ થઈ ગયો હતો, કારણ કે હું એકલો જ બૂમો પાડું તેવું ઈચ્છતો નહોતો. હું એકલો પરિવર્તન લાવી શકું તેમ નથી. આથી જ હવે મેં બીજીવાર બોલવાની શરૂઆત કરી છે.’
અભય એક્ટર સુશાંતના કરિયર સાથે રિલેટ કરે છે
અભયે વાતચીતમાં એ વાતનો સ્વીકાર કર્યો હતો કે સુશાંત સિંહ રાજપૂતના નિધને તેને હચમચાવી નાખ્યો છે. ખરી રીતે તો તે તેને ઓળખતો પણ નહોતો. અભયે કહ્યું હતું કે તે તેના કરિયર સાથે રિલેટ કરી શકે છે.
અભયના મતે, આ જ કારણ છે કે તેણે આ પ્રેશરવાળા મુદ્દાઓ પર વાત કરવાની શરૂ કરી. આ મુદ્દાઓ સોશિયલ મીડિયામાં ચર્ચાતા હતાં. અભયે હાલમાં જ સોશિયલ મીડિયામાં ‘makingwhatbollywoodwouldnt’ હેશટેગ સાથે પોતાની ફિલ્મ ‘એક ચાલીસ કી લાસ્ટ લોકલ’, ‘મનોરમાઃ સિક્સ ફીટ અંડર’, ‘દેવ ડી’ તથા ‘રોડ’ની પાછળની વાતો ચાહકો સમક્ષ રજૂ કરી હતી.
આ અંગે અભયે કહ્યું હતું, ‘મને લાગે છે કે આ રીતે તે ફિલ્મ પ્રત્યે ધ્યાન ખેંચી શકે છે. આ ફિલ્મ પાસે માર્કેટિંગ કે બિગ રિલીઝ માટે પૂરતા પૈસા નહોતાં. આથી મોટાભાગના લોકો આ ફિલ્મ અંગે જાણતા નથી. આ ફિલ્મ સારી છે અને આજે પણ એન્ટરટેઈન કરે તેવી છે.’
‘ઈન્ડસ્ટ્રીમાં દર્શકોને કારણે લૉબી કલ્ચર’
અભયે પોતાની ફિલ્મ ‘જિંદગી ના મિલેગી દોબારા’ને લઈ એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં એક્ટરે કહ્યું હતું કે ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી પ્રત્યક્ષ તથા પરોક્ષ રીત છે, જેને કારણે લોકો તમારી વિરુદ્ધ લૉબી કરે છે. આ પોસ્ટે ઘણાં લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. અભયે આને લઈને કહ્યું હતું, ‘તેઓ પોતાના પૂર્વગ્રહ છુપાવવાનો ભરપૂર પ્રયાસ કરે છે. આપણી ઈન્ડસ્ટ્રીમાં વર્ષોથી નહીં પણ દાયકાઓથી લૉબી કલ્ચર છે. આથી જ કોઈ ઊભું થાય અથવા કાળજી લે તે અંગે વિચારવામાં આવતું નથી. હું આ બધું એટલા માટે કહી રહ્યો છું, કારણ કે હું ફિલ્મી પરિવારમાં મોટો થયો છું અને નાનપણથી જ આ ગેમ અંગે સાંભળતોઆવ્યો છું. નાનપણમાં મેં બીજાના અનુભવો સાંભળ્યાં હતાં અને હવે પ્રોફેશનલ લાઈફમાં આ મેં જાતે જોયું છે.’
વધુમાં અભયે કહ્યું હતું, ‘હું મારા વિશેષાધિકારો પર ફોકસ કરું છું. મારી પાસે પરિવાર છે. મિત્રોનું મોટું ગ્રૂપ છે. મારી પાસે કામ છે. એક્ટિંગ કરું છું. પ્રોડક્શન કરું છું અને હાલમાં બે દેશો ભારત તથા અમેરિકામાં કામ કરું છું. મેં મારી જાતે મારો રસ્તો બનાવ્યો છે. ક્યારેય રમત રમી નથી. આથી જ હવે હું મારી જાતને આનાથી બહાર રમતી જોઈ શકું છું.’
‘ફિલ્મ ઈન્ડસ્ટ્રી બહુ જ કૉમ્પિટેટિવ જગ્યા છે’
જ્યારે અભયને પૂછવામાં આવ્યું કે તે માને છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પૂર્વગ્રહ તથા પ્રથાઓની અસર કોઈની પણ માનસિક સ્થિતિ પર પડી શકે છે? તો જવાબમાં એક્ટરે કહ્યું હતું કે આ બહુ જ કૉમ્પિટેટિવ જગ્યા છે. અહીંયા લોકો બહુ જ અસલામતી અનુભવે છે. તમે ઘણીવાર એવું સાંભળશો કે તમારી નિષ્ફળતા મારી સફળતા છે.
વાસ્તિવક જીવનમાં આ રમત કેવી રીતે ચાલે છે? જેના જવાબમાં અભયે કહ્યું હતું, ‘લોકો તમારી વિરુદ્ધ ખોટી વાતો ફેલાવે છે. નેગેટિવ રિવ્યૂ માટે પૈસા આપે છે. લોકો તમને તોડવા માટે ઈન્ડસ્ટ્રીમાં તમારી વિરુદ્ધ લખાવે છે. લોકો અવોર્ડ શોમાં તમારા નોમિનેશન કે જીતને ખાઈ જાય છે. આ કેટલીક રીત છે, જેમાં અન્ય કોઈની નિષ્ફળતા તમારા માટે જીત બની જાય છે.’
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3hUEtpD
https://ift.tt/2AUD3Lj