સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદથી જ દરેકના મનમાં તેના મૃત્યુને લઈ સવાલ થઈ રહ્યાં છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા પુરાવા સુસાઈડ તરફ ઈશારો કરે છે. જોકે, કેટલાંક લોકો આ કેસમાં CBI તપાસની માગણી કરી રહ્યાં છે. આ દરમિયાન ‘મહાભારત’ એક્ટ્રેસ તથા સાંસદ રૂપા ગાંગુલીએ પણ મુંબઈ પોલીસની તપાસ પર સવાલ ઉઠાવ્યા હતાં. ભાસ્કર સાથેની વાતચીતમાં એક્ટ્રેસે સુસાઈડ એન્ગલને સ્વીકારવાની ના પાડી દીધી હતી.
સુશાંત પર વાત કરતાં એક્ટ્રેસે કહ્યું હતું, ‘હું મારી વાત ભાજપના MP તરીકે રજૂ નથી કરતી પરંતુ એક કલાકાર તથા સુશાંતના ચાહક તરીકે આ વાત રજૂ કરું છું. એક જાગૃત નાગરિક તરીકે મારી વાત મૂકું છું. તમામ લોકોને મારી વિનંતી છે કે તમારા બાળકો સારા ભવિષ્ય માટે ઘરથી દૂર છે, તે તમામમાં સુશાંતનો ચહેરો જુઓ. મુંબઈ પોલીસે પહેલાં જ દિવસે કહી દીધું કે આ સુસાઈડ છે. રિપોર્ટમાં ત્યાં સુધી કહેવામાં આવ્યું કે મૃત્યુ શ્વાસ રૂંધાવવાને કારણે થયું છે.’
ગળા પરનું નિશાન સુસાઈડનું નથી
‘સુશાંતના પાર્થિવ શરીરના ફોટોગ્રાફ પોલીસે કેમ હટાવી લીધા? તે ફોટોગ્રાફને કારણે લોકોના મનમાં શંકા થઈ હતી કે ગળા પરનું નિશાન સુસાઈડને કારણે હોઈ શકે નહીં. લાખો લોકોના મનમાં સવાલ છે અને તેમાંથી હું એક છું. સુસાઈડમાં સામાન્ય રીતે યુ શેપ હોય છે પરંતુ જે તસવીરો તથા વીડિયો વાઈરલ થયા છે તેમાં યુ શેપ જોવા મળતો નથી.’
મોટા લોકોએ સુસાઈડનું નેરેટિવ સેટ કર્યું
‘મને પહેલાં જ શંકા હતી કે સુશાંતના કેસમાં કોઈ સુસાઈડનું નેરેટિવ સેટ કરી રહ્યું છે. પોલીસ આવી એટલે તરત જ કહી દેવામાં આવ્યું કે આ સુસાઈડ છે. તેમણે તો એમ કહેવું જોઈએ કે તપાસ પછી ખબર પડશે કે આ સુસાઈડ છે કે મર્ડર. પહેલાં જ દિવસથી કેટલાંક લોકો એ સાબિત કરવામાં પડ્યાં છે કે સુશાંત ડિપ્રેશનનો દર્દી હતો. કેટલાંક મોટા લોકોએ નેરેટિવ સેટ કર્યું છે. મને એમ કહો કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કઈ વ્યક્તિ ડિપ્રેશનમાંથી પસાર નથી થઈ.’
સુશાંત બહુ જ પોઝિટિવ વ્યક્તિ હતો
‘સુશાંત બહુ જ પોઝિટિવ વ્યક્તિ હતો. તેણે જાતે પોતાનું સ્થાન બનાવ્યું હતું. તે ડિઝર્વ કરતો હતો. માત્ર દેખાવમાં સુંદર નહોતો. તેણે અહીંયા આવીને ડાન્સ ક્લાસિસ કર્યાં, માર્શલ આર્ટ પણ શીખી હતી. તેને દરેક પ્રકારની બાબતોને ટાઈમ આપ્યો અને તે બાબતો શીખી પણ હતી. તેને ટેલિસ્કોપ સાથે સમય પસાર કરવો ગમતો હતો. તે ઈનસિક્યોરિટીથી પીડાતો હોય તેમ ક્યારેય લાગ્યું નહીં.’
પોલીસના મનમાં કેમ સવાલ ના આવ્યા?
‘સુસાઈડ માટે માત્ર એક જ કારણ ના હોય. સુસાઈડ નોટ પણ ના મળી. ગળા પરના નિશાન પણ શંકાના દાયરામાં છે. મારા મનમાં બહુ સવાલો છે. પોલીસે ઘરને સીલ કેમ ના કર્યું? ઘરને નવું લૉક કેમ મારવામાં ના આવ્યું? જૂના લૉકની 50 ચાવીઓ મળી શકે છે. હું કંઈ જાસૂસ નથી પરંતુ જ્યારે મારા મનમાં આ બધા સવાલો આવ્યા તો પોલીસના મનમાં કેમ આ સવાલો નથી આવતા?’
ચર્ચા છે કે CCTV બંધ હતાં
‘પોલીસે તરત જ કહી દીધું કે આ સુસાઈડ છે. અનેક જગ્યાએ લખવામાં આવ્યું કે ઘરના CCTV બંધ હતાં. એ પણ જાણવા મળ્યું કે 10 મિનિટ પહેલાં તે વીડિયો ગેમ રમતો હતો. પ્લે સ્ટેશન રમતો હતો. આ તમામ સવાલો પોલીસના મનમાં નથી. આ તો શક્ય જ નથી.’
અધિકારીઓના જીવને જોખમ
‘સાચી વાત એ છે કે આ કેસમાં જે અધિકારીઓ તપાસ કરી રહ્યાં છે, તેમના જીવને જોખમ છે. તેમની પાસે તમામ માહિતી છે પરંતુ તેઓ કેસનો ઉકેલ લાવવામાં સક્ષમ નથી. જો તેઓ નિષ્પક્ષ તપાસ કરશે તો તેમણે જીવ ગુમાવવો પડે તેવી શક્યતા છે.’
આ લોકોને CBI જ પકડી શકે છે
‘આવું કરવાવાળા લોકો કોણ હોઈ શકે છે. આ દરેકને ખબર છે કે મુંબઈમાં કોણ સૌથી મોટું ડ્રગ રેકેટ ચલાવે છે? ગુનેગારોના નામ મારા સવાલમાં છે. સવાલ આ છે કે કોણ રોસ્ટ જેવા કોમેડી શો ઓર્ગેનાઈઝ કરાવે છે? કોણ પોતાના ટીવી શો ચલાવે છે? ત્યાં પોતાના તથા તે પ્રોગ્રામમાં આવતા લોકોના ચાહકોમાં વધારો કરે છે અને પછી આ જ લોકોને ફિલ્મમાં લેવામાં આવે છે. આ બધાને પકડવાની હિંમત માત્ર CBIમાં છે.’
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2BbisCt
https://ift.tt/3i6uiya