શોલેના સૂરમા ભોપાલી જગદીપ ઉર્ફે સૈયદ ઇશ્તિયક જાફરી બુધવાર રાત્રે દુનિયાને અલવિદા કહી ગયા. તેમના જવાથી બોલિવૂડમાં કોમેડીના એ યુગનો અંત થયો છે જેમાં મહેમૂદ, જોની વોકર, કેશ્ટો મુખર્જી, રાજેન્દ્રનાથ અને જગદીપ જેવા કલાકારો જીવ્યા હતા. બાળ કલાકાર તરીકે કરિયરની શરૂઆત કરનાર જગદીપે હિન્દી સિનેમામાં તમામ મુશ્કેલી પાર કરીને ખુદની એક અલગ ઓળખ બનાવી હતી.
81 વર્ષની ઉંમરમાં પણ જગદીપ બીમારીઓ સામે જિંદાદિલીથી લડી રહ્યા હતા. કોરોના લોકડાઉન દરમ્યાન તેઓ ઘણા વિક થઇ ગયા હતા અને અંતે 8 જુલાઈના પોતાની પાછળ 6 બાળકો અને તેમના બાળકોથી ભરેલ પરિવાર છોડીને ચાલ્યા ગયા.
જગદીપના શ્રદ્ધાંજલિ રૂપે એવા કિસ્સા જે દરેક ઉદાસીને જિંદાદિલીમાં બદલી દે છે
પાર્ટિશન સમયે 8 વર્ષના બાળકની હિંમત વખાણવા લાયક
29 માર્ચ 1939ના સમયમાં સેન્ટ્રલ પ્રોવિન્સ (મધ્યપ્રદેશ)ના દતિયામાં જન્મેલ જગદીપનું સાચું નામ સૈયદ ઇશ્તિયક જાફરી હતું. તેમના પિતા વકીલ હતા. 1947માં દેશમાં ભાગલા પડ્યા અને તે જ વર્ષે તેમના પિતાનું નિધન થયું. તેમનો પરિવાર રઝળી પડ્યો. માતા જગદીપ અને બાકીના બાળકોને લઈને મુંબઈ જતા રહ્યા અને ઘર ચલાવવા માટે એક અનાથ આશ્રમમાં જમવાનું બનાવવા લાગ્યા.
જગદીપ માતાની આવી હાલત જોઈને રડતા હતા. માતાની મદદ કરવા માટે તેમણે સ્કૂલ છોડીને રોડ પર સાબુ- કાંસકી અને પતંગ વેચવાનું શરૂ કરી દીધું હતું. એક ઇન્ટરવ્યૂમાં પોતાના બાળપણના સંઘર્ષને યાદ કરતા કહ્યું હતું કે, મારે જીવતા રહેવા માટે કંઈક કરવાનું હતું પરંતુ હું કોઈ ખોટું કામ કરીને પૈસા કમાવા ઈચ્છતો ન હતો માટે રસ્તા પર સામાન વેચવા લાગ્યો.
3 રૂપિયાની લાલચમાં ફિલ્મોમાં આવી ગયા
આ વચ્ચે બીઆર ચોપરા અફસાના નામની ફિલ્મ બનાવી રહ્યા હતા અને તેના એક સીન માટે બાળ કલાકારોની જરૂર હતી. સપ્લાયર એક્સ્ટ્રા બાળકોને ભેગા કરી લાવ્યો જેમાં જગદીપ પણ હતા. આ ફિલ્મમાં તેમણે માત્ર એટલા માટે કામ કર્યું કારણકે કાંસકી વેચીને તે દિવસમાં માત્ર દોઢ રૂપિયા કમાઈ શકતા હતા જ્યારે અફસાના સેટ પર તેમને માત્ર તાળી પાડવા માટે 3 રૂપિયા મળી રહ્યા હતા.
આ રીતે સૈયદ ઇશ્તિયકથી માસ્ટર મુન્ના બન્યા અને તેમનું કરિયર બન્યું. જગદીપે ખુદને તે સમયમાં સ્થાન અપાવ્યું જ્યારે જોની વોકર અને મહેમૂદની ચર્ચા ચારેકોર હતો. બાળ કલાકાર તરીકે તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ બિમલ રોયની દો બીઘા ઝમીનથી તેમને ઓળખ મળી.
પંડિત નહેરુ ખુશ થયા અને પર્સનલ સ્ટાફ ગિફ્ટમાં આપ્યો
1957માં રિલીઝ થયેલ એવીએમ પ્રોડક્શન બેનર હેઠળની ડિરેક્ટર પીએલ સંતોષીની ફિલ્મ હમ પંછી એક ડાલમાં 18 વર્ષના યુવા જગદીપના કામના ઘણા વખાણ થયા હતા. ફિલ્મમાં તેમની એક્ટિંગ જોઈને ભારતના પહેલા પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ એટલા ખુશ થઇ ગયા કે જગદીપને થોડા દિવસો માટે તેમનો પર્સનલ સ્ટાફ ગિફ્ટમાં આપી દીધો હતો.
જ્યારે જગદીપ સાથે અસલી સૂરમા ભોપાલી લડવા ગયા
ફિલ્મ શોલેના સૂરમા ભોપાલીના રોલની સ્ટોરી પણ રસપ્રદ છે. સૂરમા ભોપાલીનું કેરેક્ટર ભોપાલના ફોરેસ્ટ ઓફિસર નાહર સિંહ પર આધારિત હતું. ભોપાલમાં વર્ષો સુધી રહેલ જાવેદ અખ્તરે નાહર સિંહના કિસ્સા સાંભળ્યા હતા. માટે જ્યારે તેમણે સલીમ સાથે ફિલ્મ શોલે લખવાની શરૂ કરી તો કોમેડી એડ કરવા માટે નાહર સિંહથી પ્રેરિત કેરેક્ટર સૂરમા ભોપાલી તૈયાર કરી દીધું.
ફિલ્મ રિલીઝ થઇ અને સૂરમા ભોપાલી ઘણા ફેમસ થઇ ગયા પણ ભોપાલમાં નાહર સિંહની ઘણી મસ્તી થવા લાગી. નાહર સિંહ સલીમ-જાવેદથી નારાજ થઇ ગયા. એક તો ફિલ્મમાં તેમની મસ્તી કરી અને ફોરેસ્ટ ઓફિસરને લાકડા કાપનાર બનાવી દીધો. આવામાં નાહર સિંહ સીધા મુંબઈ પહોંચી ગયા અને જગદીપ સામે લડવાના મૂડમાં ઊભા રહી ગયા.
જોની વોકરે નાહર સિંહને સમજાવીને પાછા મોકલ્યા
આ કિસ્સા વિશે એક ઇન્ટરવ્યૂમાં જગદીપે કહ્યું હતું કે, ફિલ્મ શોલે રિલીઝ થયા બાદ વર્ષ પછી હું સ્ટુડિયોમાં શૂટિંગ કરી રહ્યો હતો. ત્યારે મારું ધ્યાન એક માણસ પર ગયું જે મને તાકીને જોઈ રહ્યો હતો. હું ડરી ગયો અને ચુપચાપ ત્યાંથી નીકળી રહ્યો હતો ત્યારે તેને મને રોકીને કહ્યું, ક્યાં જઈ રહ્યા છો ખાં. મને જુઓ, મારો રોલ કર્યો છે અને હવે મને ઓળખતા પણ નથી. બે વર્ષનું બાળક પણ મારી મસ્તી કરી રહ્યો છે. જગદીપને ઘણા સમય પછી વાત સમજાઈ પણ તે ડરી રહ્યા હતા કે નાહરને કઈ રીતે સમજાવવામાં આવે પરંતુ જોની વોકરે તેમની મદદ કરી અને નાહર સિંહને સમજાવીને રવાના કર્યા.
જગદીપે 33 વર્ષ નાની છોકરી સાથે ત્રીજા લગ્ન કર્યાં
જગદીપ તેમના ત્રીજા લગ્નને લઈને ઘણા વિવાદમાં રહ્યા હતા. વાત એમ હતી કે, જગદીપના બીજા દીકરા નાવેદને જોવા માટે છોકરીવાળા આવ્યા હતા પરંતુ નાવેદે લગ્ન માટે ના પાડી દીધી. નાવેદ તે સમયે કરિયર બનાવવા ઇચ્છતા હતા. જે છોકરી સાથે નાવેદના લગ્ન થવાના હતા તેની બહેન પર જગદીપનું દિલ આવી ગયું. તેમણે તેને પ્રપોઝ પણ કરી લીધું અને તે માની પણ ગઈ.
ત્રીજી પત્ની નાઝિમા જગદીપથી 33 વર્ષ નાની હતી. આ લગ્નથી જગદીપની પહેલી પત્નીના દીકરા જાવેદ જાફરી ઘણા નારાજ હતા એવી મીડિયામાં ચર્ચા હતી પણ પછી બધું સરખું થઇ ગયું હતું. નાઝિમા અને જગદીપની દીકરીનું નામ મુસ્કાન છે જે તેના કઝીન ભાઈ જાવેદના દીકરા મીઝાનથી માત્ર 6 મહિના નાની છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/38FUOKP
https://ift.tt/2Dpb5Io