સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસની મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં 40 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. હાલમાં જ પોલીસે ફિલ્મ-મેકર રૂમી જાફરીને સમન્સ મોકલ્યું હતું. આજે એટલે કે 23 જુલાઈના રોજ પોલીસે રૂમીની પૂછપરછ કરી હતી. રૂમીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સુશાંતે આત્મહત્યા કર્યાના બે દિવસ પહેલાં એટલે કે 12 જૂનના રોજ તેમની સાથે વાત કરી હતી. ફોનમાં સુશાંતે ડિપ્રેશન અંગે વાત કરી હતી અને કહ્યું હતું કે તે ઈન્ડસ્ટ્રી છોડવા માગે છે.
સુશાંતના નિકટના મિત્રોમાં રૂમી જાફરી સામેલ
રૂમી તથા સુશાંત નિકટના મિત્રો હતાં. સુશાંતના અવસાન બાદ રૂમીએ ખુલાસો કર્યો હતો કે તે સુશાંત તથા રિયા ચક્રવર્તીને લઈ એક ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યા હતા. રૂમીએ એમ પણ કહ્યું હતું કે આત્મહત્યા કર્યાના થોડાં સમય પહેલાં તેમણે સુશાંત સાથે ફિલ્મની સ્ક્રિપ્ટની ચર્ચા પણ કરી હતી. બંને વચ્ચે સારું બોન્ડિંગ હતું.
રૂમી એપ્રિલ મહિનામાં સુશાંત તથા રિયા ચક્રવર્તીની સાથે ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાના હતા. જોકે, લૉકડાઉનને કારણે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ શક્યું નહોતું. ત્યારબાદ એવું નક્કી કરવામાં આવ્યું કે પરિસ્થિતિ સામાન્ય થશે ત્યારબાદ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે.
રૂમીને આ કારણે ગુસ્સો આવ્યો
14 જૂનના રોજ સુશાંતે મુંબઈ સ્થિત પોતાના ફ્લેટમાં આત્મહત્યા કરી હતી. સુશાંતની આત્મહત્યાને લઈ અનેક તર્ક વિતર્ક કરવામાં આવ્યા હતાં. એમ પણ કહેવામાં આવ્યું હતું કે સુશાંત પાસે કામ નહોતું અને તેને કારણે તે ડિપ્રેશનમાં આવી ગયો હતો. આ સમાચારો પર રૂમી જાફરી ભડકી ગયા હતા.
રૂમીએ કહ્યું હતું કે સુશાંતના અવસાન બાદ એવી ચર્ચા થવા લાગી કે તેની પાસે કામ નહોતું અને તે આર્થિક તંગીનો સામનો કરતો હતો. આ બધું વાંચીને તેમને આઘાત લાગ્યો. તે ટેલેન્ટેડ હતો અને તે પોતાની લીગનો સ્ટાર હતો. તેનું સન્માન કરો. તે સ્ટાર હતો અને હંમેશાં રહેશે.
અત્યાર સુધી 40 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા
- સુશાંત કયા કારણોસર ડિપ્રેશનમાં હતો અને તેને સુસાઈડ જેવું પગલું કેમ ભર્યું? આ સવાલનો જવાબ જાણવા માટે પોલીસે અત્યાર સુધી 40 લોકોની પૂછપરછ કરી હતી. 21 જુલાઈના રોજ મુંબઈ પોલીસે ફિલ્મ ક્રિટિક રાજીવ મસંદની આઠ કલાકથી વધુ સમય પૂછપરછ કરી હતી. સુશાંતના નિકટના લોકોએ આક્ષેપ કર્યો હતો કે રાજીવ મસંદે સુશાંતની ફિલ્મને નેગેટિવ રિવ્યૂ આપ્યા હતા અને સુશાંતને લઈ નનામા આર્ટિકલ પણ લખ્યા હતા. આ વાતથી સુશાંત દુઃખી હતી.
- આ પહેલાં પોલીસેસુશાંતના ત્રણ સાઈકાયટ્રિસ્ટની પૂછપરછ કરી હતી, જેમાંથી એક સાઈકાયટ્રિસ્ટે કહ્યું હતું કે સુશાંતને બાયપોલર નામની માનસિક બીમારી હતી.
- યશરાજ ફિલ્મના માલિક તથા પ્રોડ્યૂસર આદિત્ય ચોપરાની પણ મુંબઈ પોલીસે પૂછપરછ કરી હતી. યશરાજે સુશાંત સાથે ‘શુદ્ધ દેસી રોમાન્સ’, ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’ તથા ‘પાની’ એમ ત્રણ ફિલ્મનો કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો. જોકે, ‘પાની’ ફિલ્મ ક્યારેય બની શકી નહીં.
- શેખર કપૂરે મુંબઈ પોલીસને પોતાનું નિવેદન ઈ-મેલ કર્યું હતું. આ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ‘પાની’ ના બનવાને કારણે સુશાંતને આઘાત લાગ્યો હતો અને તે ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. આ ફિલ્મ માટે સુશાંતે ઘણાં વર્ષો આપ્યા હતા અને અનેક મોટી ફિલ્મની ઓફર ઠુકરાવી દીધી હતી.
- સંજય લીલા ભણસાલીનું પણ નિવેદન લેવામાં આવ્યું હતું. સંજય લીલા ભણસાલીએ કહ્યું હતું કે તેમણે સુશાંતને ચાર ફિલ્મ ઓફર કરી હતી, જેમાં ‘રામ-લીલા’, ‘બાજીરાવ મસ્તાની’, ‘રીડ’ (આ ફિલ્મ ક્યારેય બની નહીં) તથા ‘પદ્માવત’ હતી. જોકે, સુશાંત પાસે પૂરતી તારીખો ના હોવાથી તે આ ફિલ્મ કરી શક્યો નહોતો.
- આ ઉપરાંત યશરાજ બેનરના કેટલાંક પૂર્વ અધિકારી, કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્મા, ટેલેન્ટ મેનેજર રેશ્મા શેટ્ટી, ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, સુશાંતનો સ્ટાફ, મેનેજર, PR ટીમ, એક્સ મેનેજર, મિત્રો, કો-સ્ટાર્સ તથા પરિવારના સભ્યોની પણ પૂછપરછ કરવામાં આવી હતી.
- શેખર કપૂર તથા કંગના રનૌતે પોતાના ઈન્ટરવ્યૂમાં સુશાંતના અવસાન માટે બોલિવૂડમાં ફેલાયેલા નેપોટિઝમને જવાબદાર ગણાવ્યું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2WMHUWD
https://ift.tt/32Lj1hD