કંગના રનૌતના મતે સુશાંત સિંહ રાજપૂતને બોલિવૂડના તમામ લોકોએ બૅન કરી દીધો હતો અને સુશાંતે પ્રોડ્યૂસર કમલ જૈનને એક મોટી ફિલ્મ બનાવવાની વિનંતી કરી હતી. કંગનાએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કમલ જૈન તરફથી આ વાત કરી હતી. કંગનાનાં મતે ફિલ્મ ‘મણિકર્ણિકા’ના પ્રોડ્યૂસર કમલ જૈને સુશાંતની સાથે ‘એમ એસ ધોની’માં સાથે કામ કર્યું હતું.
અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં કંગનાએ કહ્યું હતું, ‘સુશાંતના અવસાન બાદ મેં કમલજી સાથે વાત કરી હતી. તેમણે મને કહ્યું હતું કે થોડાં દિવસ પહેલાં જ સુશાંત સાથે તેમણે વાત કરી હતી અને તેણે એક મોટી ફિલ્મ બનાવવાની વિનંતી કરી હતી. કમલજીએ મને કહ્યું હતું કે સુશાંતે તેમને કહ્યું હતું કે કમલજી, તમારે મારી સાથે એક મોટી ફિલ્મની જાહેરાત કરવી પડશે. તમામે મને બૅન કરી દીધો છે. ત્યારથી હું આ પરિસ્થિતિને જાણવા માટે ઉત્સુક હતી.’
સુશાંતના અવસાન બાદ પહેલું રિએક્શન શું હતું?
‘હું બીજા સ્ટારની જેમ સુશાંતને ફોલો નહોતી કરતી પરંતુ જ્યારે મેં તેના અવસાન વિશે સાંભળ્યું તો મને ઘણી જ નવાઈ લાગી હતી. મારા માટે તે હોંશિયાર તથા ટેલેન્ટેડ સ્ટાર હતો. હું સુશાંતને ક્યારેય મળી નહોતી અને ના અમે એકબીજાના નિકટના મિત્રો હતાં. જ્યારે તે નવો હતો ત્યારે અમારો કોમન ફ્રેન્ડ સંદીપ સિંહ હતો. ત્યાં સુધી કે અંકિતા લોખંડે સાથે તે મારા એક બર્થડે પર આવ્યો હતો. મને યાદ છે કે તે રાત્રે મેં માત્ર અંકિતા સાથે જ વાત કરી હતી. પછી મને ખબર પડી કે સુશાંત ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘રામ લીલા’માં કામ કરે છે અને પછી તે બહાર થઈ ગયો. મને તમામ અપડેટ મળતાં હતાં.’
‘જે રીતે ચક્રવ્યૂહમાં અભિમન્યુ ફસાઈ ગયો હતો તે જ રીતે સુશાંત ફસાઈ ગયો હતો.’
અભિષેક કપૂરે કહ્યું હતું, સુશાંત શહીદ થઈ ગયો
કંગનાના મતે તેણે સુશાંતના અવસાન બાદ તેની સાથે કામ કરી ચૂકેલ અભિષેક કપૂર સાથે વાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે તે શહીદ થઈ ગયો. કંગનાએ આ દરમિયાન અભિષેક કપૂરના એક ઈન્ટરવ્યૂનો પણ ઉલ્લેખ કર્યો હતો. કંગનાએ કહ્યું હતું, ‘એક ઈન્ટરવ્યૂમાં અભિષેકે કહ્યું હતું કે જ્યારે તેમણે ‘કેદારનાથ’માં સુશાંત સાથે કામ કર્યું ત્યારે તે ‘કાઈ પો છે’ સમયનો સુશાંત નહોતો. તે એકદમ બદલાઈ ગયો હતો. તે અંદરને અંદર ગુંગળાઈ રહ્યો હતો. આ પહેલાં કે તે લોકો (ઈનસાઈડર) તેનું ગળું દબાવી, તેણે જાતે જ પોતાનું ગળું દબાવી દીધું હતું.’
સુશાંતને લઈ દૃષ્ટિકોણ બદલ્યો
કંગનાએ આગળ કહ્યું હતું, ‘ઈમાનદારીથી કહું તો મેં સુશાંતને લઈ એક પછી એક બ્લાઈન્ડ આઈટમ (નનામા આર્ટિકલ) વાંચી હતી. આ આર્ટિકલમાં સુશાંતને રેપિસ્ટ, સેક્સ એડિક્ટ, ડ્રગ્સ લેનારો તથા ડિરેક્ટર્સ સાથે તોછડું વર્તન કરનારો કહેવામાં આવ્યો હતો. આ વાંચીને મને મનમાં વિચાર આવ્યો હતો કે આ છોકરાને શું થઈ ગયું છે. તેણે પોતાના જીવનને કંટ્રોલ કરવાની જરૂર છે. આ મારું પરસેપ્શન હતું. જોકે, જ્યારે હું આ કેસની ઊંડાઈ સુધી ગઈ અને સુશાંત અંગેની માહિતી મળી ત્યારે મને મારી જાત પર શરમ આવી હતી અને અપરાધ બોધની લાગણી થઈ હતી.’
મને કોઈના ખભે બંદૂક ચલાવવાની જરૂર નથી
થોડાં સમય પહેલાં તાપસી પન્નુ તથા સમીર સોની સહિત ઘણાં સેલેબ્સે કંગના પર આક્ષેપ કર્યો હતો કે તે સુશાંતના અવસાનનો ઉપયોગ અંગત ફાયદા માટે કરી રહી છે. આ વાત પર એક્ટ્રેસે કહ્યું હતું, ‘જ્યાં સુધી પોતાના દુશ્મનો સાથે બદલો લેવાની વાત છે તો હું શરૂઆતથી જ આ અંગે જાહેરમાં બોલી ચૂકી છું. આથી મારે કોઈના ખભે બંદૂક મૂકવાની જરૂર નથી.’
વધુમાં કંગનાએ કહ્યું હતું, ‘કોઈને એ કહેવાનો અધિકાર નથી કે તારે પોતાના દુશ્મનો અંગે વાત કરવાનું બંધ કરી દેવું જોઈએ, કારણ કે અમે સુશાંત અંગે વાત કરીએ છીએ. હા, એ વાત સાચી કે આ સુશાંત અંગે છે પરંતુ મારા જીવન વિશે પણ વાત થઈ રહી છે. આ લોકો મારી વિરુદ્ધ ગેંગ-અપ કરી રહ્યાં છે. હું મારા દુશ્મન અંગે વાત કરીશ. આપણે સુશાંતને તો ખોઈ બેઠા છીએ પરંતુ મને મારા જીવન પ્રત્યે ઘણી જ આશા છે. તમને મને ના કહી શકો કે તું આ વાત બંધ કરી દે.
‘જે લોકો કહી રહ્યાં છે કે હું મારા દુશ્મનો સામે બદલો લઈ રહી છું તો આ સ્પષ્ટ છે કે આ વાત સાચી છે. આમાં કોઈ જ શંકા નથી. હું જીવવા માગું છું, સર્વાઈવ કરવા માગું છું. કંઈક મોટું કરવા માગું છું. હું નથી ઈચ્છતી કે લોકો મને તેમની જાળમાં ફસાવે અને મને બરબાદ કરી દે. હું તેમની સામે લડવા કંઈ પણ કરીશ.’
કેટલાંક આઉટસાઈડર્સ કેમ કંગના વિરુદ્ધ બોલે છે?
કંગનાને જ્યારે પૂછવામાં આવ્યું કે તે બોલિવૂડના દિગ્ગજો પર આક્ષેપો કેમ મૂકી રહી છે અને આમાંથી કોઈ પણ કેમ રિએક્શન આપતા નથી. જ્યારે કેટલાંક આઉટસાઈડર્સ તો તેની વિરુદ્ધમાં જ બોલે છે? તો આના જવાબમાં કંગનાએ કહ્યું હતું, ‘તેઓ પોતાના હાથ ગંદા કરવા માગતા નથી. જો તેઓ કંઈક બોલશે તો ટ્રોલ થશે એટલે જ તેમણે આ આઉટસાઈડર્સને મોકલ્યા છે. ’
કંગનાએ આગળ કહ્યું હતું, ‘જો હું એમ કહું કે તેને (સુશાંતને) કેવી રીતે મારવામાં આવ્યો? તો તમારે પણ આ અંગે વાત કરવી જોઈએ કે નહીં? તમે આ અંગે શું બોલી રહ્યાં છો કે હું 10 વર્ષ પહેલાં શું હતી? દસ વર્ષ પહેલાંના ઈશ્યૂ અલગ હતા. ત્યારે મને અંગ્રેજી પણ આવડતું નહોતું. હું એકદમ દુબળી-પાતળી હતી અને મારા વાંકડિયા વાળ હતાં. લોકો મારી મજાક ઉડાવતાં હતાં પરંતુ મેં ક્યારેય કોઈને ધમકાવ્યાં નથી. મારા 10 વર્ષ જૂના વીડિયોને ભૂલી જાઓ અને હાલમાં સુશાંત સિંહ રાજપૂતની હત્યા અંગે વાત કરો.’
આદિત્ય ચોપરાની પૂછપરછ પર શું કહ્યું?
કંગનાએ કહ્યું હતું કે સુશાંતના કેસમાં મુંબઈ પોલીસે પહેલાં એમ કહ્યું હતું કે આદિત્ય ચોપરા તથા કરન જોહરની પૂછપરછની જરૂર નથી. જોકે, પછી તેને ખબર પડી કે પોલીસે આદિત્ય ચોપરાની પૂછપરછ કરી હતી. તેણે રિપોર્ટ્સમાં વાંચ્યું કે આદિત્ય તથા સંજય લીલા ભણસાલીના નિવેદનોમાં ઘણો જ તફાવત છે એટલે કે તેમની તરફથી આ કેસ વધુ મજબૂત બની ગયો છે.
ભણસાલીએ કહ્યું હતું કે તેમણે સુશાંતને એક પછી એક કેટલીક ફિલ્મ ઓફર કરી હતી પરંતુ તેને ફિલ્મ કરવાની પરવાનગી નહોતી. જ્યારે આદિત્ય ચોપરા કહે છે કે ભણસાલીએ સુશાંતને કોઈ ફિલ્મ ઓફર કરી જ નહોતી. હવે ખોટું કોણ બોલી રહ્યું છે? મહેશ ભટ્ટ કારણ વગર સુશાંતના જીવનમાં દખલગીરી કરતા હતા અને તેથી તેમની પણ પૂછપરછ થવી જોઈએ.
કરન જોહરને કેમ પૂછપરછ માટે ના બોલાવ્યો?
‘મને નથી ખબર કે મુંબઈ પોલીસે કેમ હજી સુધી કરન જોહરને પૂછપરછ માટે બોલાવ્યો નથી. અમારા સરકારી વકીલ ઈશકરણ સિંહ ભંડારીએ કહ્યું હતું કે તેમની પાસે પૂરતા પુરાવા છે કે ફિલ્મ રિલીઝ કરવાનો અધિકાર દરેક પ્રોડ્યૂસરની પાસે હોય છે અને પછી ભલે કોઈ ન્યૂ કમર સાથે જ કેમ ફિલ્મ ના બનાવે.’
‘સુશાંતની ફિલ્મ ‘ડ્રાઈવ’ને લઈ આર્ટિકલ છપાયા હતા કે તેના નેગેટિવ કરિયર ગ્રાફને કારણે ફિલ્મને કોઈ લેવા તૈયાર નહોતું અને જો આમાં કરન જોહરનો કોઈ હાથ નથી તો તેણે ઓફિશિયલી કેમ કોઈ નિવેદન ના આપ્યું. કોઈ પણ એક્ટર આના માટે જવાબદાર હોતા નથી. અહીંયા સ્ક્રિપ્ટ રાઈટર, ડિરેક્ટર તથા પ્રોડ્યૂસર ફિલ્મની વાર્તા પસંદ કરે છે અને એક્ટરને આની સાથે કોઈ લેવા-દેવા હોતું નથી.’
કંગના CBI તપાસ માટે સુબ્રમણ્યમ સ્વામીના સંપર્કમાં
કંગના ઈચ્છે છે કે સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં CBI તપાસ થાય. એક્ટ્રેસ રાજ્યસભા સાંસદ તથા પૂર્વ કેબિનેટ મંત્રી સુબ્રમણ્યમ સ્વામીના સંપર્કમાં છે. કંગનાએ કહ્યું હતું કે સ્વામી તથા તેમની લીગલ ટીમે તેની કાયદાકીય મદદ કરી છે અને તે ઈચ્છે છે કે નેપોટિઝ્મને પ્રોત્સાહન આપનારા લોકોની તપાસ થાય. મુંબઈ પોલીસે કંગનાને સમન્સ પાઠવ્યું છે અને કંગના પોતાનું નિવેદન ઈ-મેલ કરે તેમ માનવામાં આવી રહ્યું છે. હાલમાં કંગના મનાલીમાં છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2WRSews
https://ift.tt/3g0b4Ja