ઓસ્કાર વિનર મ્યૂઝિક ડિરેક્ટર એ આર રહેમાને હાલમાં જ કહ્યું હતું કે હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમની વિરુદ્ધ અફવા ફેલાવવામાં આવે છે. આ જ કારણે તેમને અહીંયા કામ મળતું નથી. એ આર રહેમાને હાલમાં જ સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’માં સંગીત આપ્યું હતું. આ ફિલ્મ 24 જુલાઈના રોજ હોટ સ્ટાર પર સ્ટ્રીમ થઈ હતી.
રેડિયો મિર્ચી સાથેની વાતચીતમાં રહેમાનને પૂછવામાં આવ્યું હતું કે તેઓ તમિળ સિનેમાની તુલનાએ હિંદી ફિલ્મમાં શા માટે કામ ઓછું કરે છે? જેના જવાબમાં સંગીતકારે કહ્યું હતું કે તે ક્યારેય સારી ફિલ્મને ના પાડતા નથી પરંતુ તે માને છે કે અહીંયા એક ગેંગ છે અને આ ગેંગ તેમના વિશે ખોટી વાતો તથા અફવાઓ ફેલાવે છે.
વધુમાં રહેમાને કહ્યું હતું કે મુકેશ છાબરા જ્યારે તેમને મળવા આવ્યા ત્યારે તેમણે માત્ર બે દિવસમાં ચાર ગીતો આપ્યા હતા. રહેમાને કહ્યું હતું કે તેમને મુકેશ છાબરાએ કહ્યું હતું કે ઘણાં લોકોએ તેમને એ આર રહેમાનને મળવાની ના પાડી હતી અને એક પછી એક ઘણી વાતો કહી હતી. રહેમાને આગળ કહ્યું હતું કે તેમણે આ બધી વાતો સાંભળી છે અને તેમને આ અંગે ખ્યાલ છે. જોકે, હવે તેમને એ વાત સમજાઈ ગઈ કે શા માટે તેમને હિંદી ફિલ્મમાં ઓછું કામ મળે છે અને શા માટે સારી ફિલ્મ તેમની પાસે આવતી નથી. તેઓ ડાર્ક ફિલ્મમાં કામ કરે છે અને આખી ગેંગ તેમની વિરુદ્ધમાં છે અને તેઓ જાણ બહાર તેમને નુકસાન પહોંચાડી રહ્યા છે.
રહેમાને કહ્યું હતું કે લોકો તેમની પાસે સારા કામની અપેક્ષા રાખતા હોય છે પરંતુ એક બીજી ગેંગ તેમને કામ આપતા અટકાવે છે. ઠીક છે, કારણ કે તેઓ નસીબમાં માને છે અને તે માને છે કે ભગવાનની મરજીથી જ બધું થાય છે. તેથી જે ફિલ્મ મળે છે તે રીતે કામ કરે છે. જોકે, તમે બધા તેમને મળી શકો છો અને બધાએ સાથે મળીને સારી ફિલ્મ બનાવી જોઈએ.
રહેમાને ‘સ્વદેશ’, ‘દિલ સે’, ‘ગુરુ’, ‘રોક-સ્ટાર’ જેવી ફિલ્મમાં સંગીત આપ્યું છે. ‘સ્લમડોગ મિલિયોનર’ માટે એકેડેમી અવોર્ડ મળ્યો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3g0BXNg
https://ift.tt/30JDwbT