ટીવી સિરિયલ ‘ભાખરવડી’માં કામ કરતાં એક ક્રૂ મેમ્બરનું કોવિડ 19ને કારણે 21 જુલાઈના રોજ અવસાન થયું હતું. સિરિયલના અન્ય ક્રૂ મેમ્બર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે અને તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. ગાઈડલાઈન પ્રમાણે 26 જુલાઈથી ત્રણ દિવસ માટે શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું અને પૂરી કાસ્ટ તથા ક્રૂનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.
સોમવાર, 27 જુલાઈના રોજ આવેલા રિપોર્ટ પ્રમાણે, સિરિયલના આઠ લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા અને તેમને આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે. સિરિયલના પ્રોડ્યૂસર જે ડી મજેઠિયા છે. જે ડી મજેઠિયા ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડ્યૂસર્સના વાઈસ ચેરમેન પણ છે. તેમણે ન્યૂઝ ચેનલ આજતક સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે તેઓ આ ઘટનાથી દુઃખી છે અને પ્રયાસ કરે છે કે કર્મચારીના પરિવારને પૂરતી મદદ મળે.
પ્રોડ્યૂસર જે ડી મજેઠિયાએ ‘ભાખરવડી’ના સેટ પર જ ક્રૂને રહેવાની વ્યવસ્થા કરી હતી. આ સાથે જ બધાને પર્સનલ લોકર્સ પણ આપવામાં આવ્યા હતા. જે કર્મચારીનું નિધન થયું તે 25 જૂનથી લઈ 13 જુલાઈ સુધી સેટ પર જ રહ્યો હતો. ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જે ડી મજેઠિયાએ કહ્યું હતું કે જે કર્મચારીનું અવસાન થયું તેનું નામ અબ્દુલ છે અને તે દરજી હતો. કંપની સાથે 10-12 વર્ષથી જોડાયેલો હતો. પહેલી જુલાઈના રોજ તેનું ટેમ્પરેચર 94.8 અને પલ્સ 76 તથા ઓક્સીમીટર 96 હતું. 13 જુલાઈના રોજ ટેમ્પરેચર 91.8 અને પલ્સ 78-80 તથા ઓક્સીમીટર 98 હતું. અબ્દુલે પ્રોડ્યૂસરને તબિયત સારી ના હોવાની વાત કરી હતી અને વચ્ચે તે ડોક્ટર પાસે પણ જઈ આવ્યો હતો. ડોક્ટરે તેને વીકનેસ તથા વાઇરલ ઇન્ફેક્શન થયું હોવાનું કહ્યું હતું.
કામ પર આવે તે પહેલા અવસાન થયું
જે ડી મજેઠિયાએ કહ્યું હતું કે સેટ પર બહુ કામ રહેતું નહોતું અને ટીમ પૂરો સહયોગ આપતી હતી. 11 જુલાઈના રોજ તેની તબિયત સારી હતી. જોકે, 13 જુલાઈએ તેણે ઘરે જવાની વાત કરી હતી અને તે જતો રહ્યો હતો. ટીમ સતત તેના સંપર્કમાં હતી. કોવિડ 19ને કારણે નિયમ બનાવવામાં આવ્યો છે કે સેટ પર પરત આવવું હોય તો તમામ મેડિકલ રિપોર્ટ ક્લિયર હોવા જોઈએ. પ્રોડક્શનના એક ગ્રુપે 19 જુલાઈના રોજ અબ્દુલને ફોન પર કહ્યું હતું કે સેટ પર આવતા પહેલા મેડિકલ રિપોર્ટ આપવા પડશે. અબ્દુલ પણ કામ કરવા માટે આતુર હતો. 21 જુલાઈના રોજ જ્યારે ફોન કર્યો તો તેના પરિવારે કહ્યું કે તેનું અવસાન થઈ ગયું છે.
શૂટિંગ ગાઈડલાઈન્સ પ્રમાણે સેટ પર કામ કરતા તમામ કર્મચારીઓનો ઈન્શ્યોરન્સ કરાવવો ફરજિયાત છે. પ્રોડ્યૂસર જે ડી મજેઠિયાએ શૂટિંગ પહેલાં તમામનો ઈન્શ્યોરન્સ કરાવ્યો હતો. જે ડી મજેઠિયાએ કહ્યું હતું કે તેઓ પ્રયાસ કરે છે કે જલદી તમામ દસ્તાવેજો ઈન્શ્યોરન્સ કંપનીને આપી દેવામાં આવે અને અબ્દુલના પરિવારને પૈસા મળે.
ડોક્ટર્સ સાથે વાત કરે છે
જે ડી મજેઠિયાએ કહ્યું હતું કે તેમના માટે પહેલાં વ્યક્તિ આવે છે અને પછી કામ. તમામની મરજી જાણ્યા બાદ જ સિરિયલનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. દર અઠવાડિયે તેઓ પોતાની ટીમ અને ડોક્ટર સાથે કોન્ફરન્સ કૉલ પર વાત કરે છે. સેટ પર એક નર્સ હોય છે અને તે સેટ પર હાજર રહેલી તમામ વ્યક્તિને તપાસે છે.
સેટ પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય છે
જે ડી મજેઠિયાએ વધુમાં કહ્યું હતું કે સેટ પર દર કલાકે એક વ્યક્તિ સેનિટાઈઝરની બોટલ સાથે ફરે છે. સેટ પર તમામને છત્રી આપવામાં આવી છે અને એ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવે છે.
આજથી શૂટિંગ શરૂ થશે
આજે એટલે કે 29 જુલાઈથી ફરીવાર ‘ભાખરવડી’નું શૂટિંગ શરૂ થશે. જોકે, શૂટિંગ શરૂ થાય તે પહેલાં પ્રોડ્યૂસરે તમામ ક્રૂ તથા સ્ટાર-કાસ્ટની વાત કોકિલાબેન હોસ્પિટલના ડોક્ટર સાથે કરાવી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3jLP5bk
https://ift.tt/2D0LoOi