સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ અર્થે બિહાર પોલીસની એક ટીમ મુંબઈ આવી છે. આ દરમિયાન શનિવાર (પહેલી ઓગસ્ટ)ના રોજ ખાનગી ન્યૂઝ ચેનલે સુશાંતના ઘરના બે પૂર્વ સ્ટાફ મેમ્બર્સ સાથે વાત કરી હતી.
વાતચીતમાં બે પૂર્વ સ્ટાફ મેમ્બરે કહ્યું હતું કે રિયા ચક્રવર્તીના આવ્યા બાદ સુશાંતનું જીવન બદલાઈ ગયું હતું. તે પહેલાં ઘણો જ ઉત્સાહમાં હતો અને પોતાના કામથી લઈ દરેક બાબતમાં નિયમિત હતો. જોકે, રિયાના આવ્યા બાદથી સુશાંતના જીવનમાં અનેક ફેરફારો થવા લાગ્યા હતા. તેની તબિયત ખરાબ રહેતી અને કામ પણ ઓછું થઈ ગયું હતું. રિયા સુશાંતને પોતાના વશમાં રાખતી હતી.
રિયાના કહેવાથી મને નોકરીમાંથી કાઢી મૂક્યો
ABP ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં સુશાંતના પૂર્વ કુક અશોક કુમાર ખાસુએ કહ્યું હતું, ‘હું 2016થી સપ્ટેમ્બર, 2019 સુધી સુશાંતના ઘરે કુક તરીકે કામ કરતો હતો. સપ્ટેમ્બર મહિનામાં હું નેપાળ ગયો હતો. ઓક્ટોબરમાં જ્યારે પાછો આવ્યો ત્યારે સુશાંત સર તથા રિયા યુરોપ ટ્રિપ પર ગયા હતા. ત્યારે મને હાઉસ મેનેજર સેમિલે કહ્યું હતું કે રિયાના કહેવાથી મને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. આ બધા દિવાળીની આસપાસ એટલે કે 27-28 ઓક્ટોબરે પાછા આવી ગયા હતા પરંતુ મેં આ અંગે ક્યારેય તેમની સાથે આ મુદ્દે વાત કરી નહોતી.’
અમને ખ્યાલ નથી કે તેઓ ડિપ્રેશનમાં હતાં
સુશાંતના ડિપ્રેશન અંગેના સવાલ પર અશોકે કહ્યું હતું, ‘જ્યાં સુધી હું કામ કરતો હતો ત્યારે એકવાર પણ એવું લાગ્યું નહીં કે તેઓ ડિપ્રેશનમાં હતાં. તે સમયે એવું સાંભળ્યું હતું કે તેઓ હોસ્પિટલમાં ચેકઅપ માટે ગયા હતા અને તેમને ડેન્ગ્યૂ થયો હતો. જોકે, હવે ખબર પડી કે તેમને ડિપ્રેશનની બીમારી હતી. ડિપ્રેશનમાં હતા તો અત્યાર સુધી આ વાત કેમ છૂપાવીને રાખવામાં આવી. તેમના પરિવારને આ અંગે કંઈ જ ખબર નથી. સ્ટાફને પણ આ વાતની ખબર નથી. આ તમામ વાતો સામે આવવી જોઈએ.’
સરે જાતે જ ફિલ્મમાં કામ કરવાની ના પાડી હતી
સુશાંત પાસે ફિલ્મ ના હોવા અંગે અશોકે કહ્યું હતું, ‘એવું નહોતું કે તેમની પાસે ફિલ્મ નહોતી પરંતુ તેમણે જાતે જ ફિલ્મમાં કામ ના કરવાનું નક્કી કર્યું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ બે-ચાર મહિના આરામ કરશે અને અત્યારે કોઈ ફિલ્મ કરશે નહીં.’
રિયાએ અનેક લોકોને કાઢી મૂક્યા, સર આવું ક્યારેય કરતાં નહીં
સુશાંતના જીવન પર રિયાનાં કંટ્રોલ અંગે અશોકે કહ્યું હતું, ‘જ્યારે હું હતો ત્યારે મને આવું કંઈ જ લાગ્યું નહીં. મને નોકરીમાંથી કાઢી મૂક્યો ત્યારે પણ મારા મનમાં કોઈ શંકા થઈ નહીં. જોકે, મને કાઢ્યા પછી એક બૉડીગાર્ડ તથા એક અકાઉટન્ટને પણ કાઢી મૂક્યા હતા અને અમે ત્રણેયે આ અંગે વાત કરી હતી કે કેમ જૂના સ્ટાફને હટાવી દેવામાં આવ્યો. સુશાંત સર ક્યારેય કોઈ જૂના સ્ટાફને કાઢી મૂકતા નહોતા. પહેલાં પણ લોકો આવતા અને જતા રહેતા પરંતુ તે લોકો પોતાની મરજીથી જતાં રહેતાં હતાં પણ સર ક્યારેય સામેથી કોઈને કાઢી મૂકતા નહોતા.’
સુશાંત બદલાઈ ગયો હતો
સુશાંતના સ્ટાફમાં કામ કરી ચૂકેલ અન્ય એક સભ્યે ABP ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું હતું, ‘જ્યારે મેં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તેઓ બિલકુલ સ્વસ્થ હતા. તેમનું રૂટીન પણ ફિક્સ રહેતું. નાસ્તો, જિમ, શૂટિંગ... રિયા આવી પછી સ્ટાફ બદલવામાં આવ્યો હતો અને સુશાંત પણ બદલાયેલો લાગતો હતો. ઘરથી લઈ ઓફિસ સુધી તમામ જૂના માણસોને કાઢીને નવા માણસો લેવામાં આવ્યા હતા.’
રિયાના આવ્યા બાદ સુશાંતનો ઉત્સાહ ઓસરી ગયો હતો
પૂર્વ સ્ટાફ મેમ્બરે કહ્યું હતું, ‘રિયા નહોતી ત્યાં સુધી સુશાંત ઘણો જ ઉત્સાહમાં રહેતો પરંતુ પછી એવું થયું નહીં. પહેલાં તેઓ દરેક કામ સારી રીતે કરતા પરંતુ રિયાના આવ્યા બાદ તે બદલાઈ ગયો હતો. સુશાંતની તબિયત પણ સારી નહોતી રહેતી. તે દવાઓ લેતા હશે તો પણ અમને આ અંગે કંઈ જ ખબર નહોતી. મને ખ્યાલ નથી કે તેમના જીવનમાં શું ચાલતું હતું પરંતુ તે ઘણો જ બદલાઈ ગયો હતો.’
રિયાનો વ્યવહાર યોગ્ય નહોતો
રિયા અંગે વાત કરતા પૂર્વ સ્ટાફ મેમ્બરે કહ્યું હતું, ‘રિયાનો વ્યવહાર ક્યારેય સારો નહોતો. તેના આવ્યા બાદ બધું જ અસ્ત-વ્યસ્ત થઈ ગયું હતું. સુશાંત સર પહેલા જેવા નહોતા, ઘર તથા ઓફિસનો સ્ટાફ બદલાઈ ગયો હતો. બધું જ રિયા કહે તે જ રીતે કરવામાં આવ્યું હતું. જ્યાં સુધી હું હતો ત્યાં સુધી સુશાંત સર કોઈ દવા લેતા નહોતા. અમને ક્યારેય ખબર ના પડી કે તેઓ કોઈ દવા પણ લે છે.’
સુશાંત સર નબળા નહોતા
વધુમાં તેણે કહ્યું હતું, ‘રિયાએ તેમના જીવનમાં દખલગીરી કરવાનું શરૂ કર્યું હતું. ઘરમાં રિયાના મિત્રો તથા રિયાનો ભાઈ આવતો હતો. પાર્ટીઓ પણ થતી હતી. પહેલાં સુશાંતની બહેન પણ આવતી પરંતુ રિયાના આવ્યા બાદ તેણે પણ આવવાનું બંધ કરી દીધું હતું. માત્ર રિયાના પરિવારના સભ્યો આવતા હતા. સુશાંત સર નબળા દિલના નહોતા. તેમની પાસે કોઈ વસ્તુની ઊણપ નહોતી. તે કેવી રીતે આ પગલું ભરી શકે.’
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Xj4xls
https://ift.tt/30l3MKT