બોલીવૂડની ઝાકઝમાળ દુનિયા જેવી દેખાય છે એવી નથી. આજે જેનો સિતારો બુલંદ છે, એ કાલે અંધકારની ગર્તામાં ખોવાઈ પણ શકે છે. એક વખત ગ્લેમરની આદત પડી જાય ત્યારે તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ હોય છે. ગ્લેમરની દુનિયા ઘણા કલાકારોને મૃત્યુ તરફ દોરી જાય છે. શ્રીદેવી, પરવીન બાબી, ગુરુદત્ત અને દિવ્ય ભારતી જેવા કલાકારોનું એક લાંબુ લિસ્ટ છે, જેમનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. કેટલાક અકસ્માતનો ભોગ બન્યા તો ઘણા એકલતાનો ભોગ બન્યા. સુશાંત સિંહ રાજપૂત પહેલી એવી વ્યક્તિ છે જેમના આત્મહત્યાની તપાસ CBIને સોંપવામાં આવી. જાણો ગ્લેમરની દુનિયાના કેટલાક શંકાસ્પદ મૃત્યુ અંગે..
1. શ્રીદેવીઃ દુબઈમાં હોટેલના બાથટબમાં મૃતદેહ મળી આવ્યો હતો
પાંચ ફિલ્મફેર એવોર્ડ જીતનાર શ્રીદેવીનું નિધન 24 ફેબ્રુઆરી 2018ના રોજ થયું હતું. તે 54 વર્ષની હતી. ફિલ્મ નિર્માતા બોની કપૂરની પત્ની અને અભિનેત્રી જાન્હવી કપૂરની માતા શ્રીદેવી દુબઈમાં પોતાના ભત્રીજાના લગ્નમાં ગઈ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટના અનુસાર, બેભાન થવાને કારણે હોટેલના રૂમમાં બાથટબમાં ડૂબવાને કારણે મોત નીપજ્યું હતું. પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે હાર્ટ અટેકના કારણે મોત થયું છે.
2. દિવ્યા ભારતીઃ 19 વર્ષની ઉંમરમાં પાંચમા માળેથી પડી જવાથી મૃત્યુ
1990 ના દાયકામાં શાનદાર પદાર્પણ કરનાર દિવ્યા ભારતીનું પાંચમાં માળની બાલ્કનીમાંથી પડી જવાથી 5 એપ્રિલ 1993 ના રોજ અવસાન થયું હતું. તે સમયે તેની ઉંમર માત્ર 19 વર્ષની હતી. દીવાના અને વિશ્વાત્મા જેવી હિટ ફિલ્મો આપનારી દિવ્યા ભારતીનું મૃત્યુ દુર્ઘટના હતી, સુસાઈડ કર્યું હતું કે મર્ડર થયું હતુ તે હજી સુધી જાણી શકાયું નથી. એટલું જાણવા મળ્યું હતું કે, એણે દારૂ પીધો હતો. જ્યારે તે 18 વર્ષની હતી ત્યારે શોલા અને શબનમ ફિલ્મના સેટ પર સાજીદ નડિયાદવાલા સાથે કથિત રીતે લગ્ન કર્યાં હતાં. સાજિદ આજે બોલીવુડનો પ્રખ્યાત નિર્માતા છે.
3. નફીસા જોસેફઃ મિસ ઈન્ડિયા યુનિવર્સ બોયફ્રેન્ડના જૂઠના કારણે ડિપ્રેશનમાં હતી
નફીસા જોસેફ એમટીવીની પ્રખ્યાત વીડિયો જોકી હતી. 29 જુલાઈ, 2004 ના રોજ તેને ગળે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. નફીસાએ 1997માં ફિમિના મિસ ઈન્ડિયા યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો અને મિયામીમાં મિસ યુનિવર્સ 1997 પીઝન્ટની ફાઇનલિસ્ટ હતી. તેના મૃત્યુના થોડા દિવસો પહેલા જ તેના લગ્ન બિઝનેસમેન ગૌતમ ખંડુજા સાથે થયાં હતાં. તે દરમિયાન નફીસાને ખબર પડી ગઈ હતી કે ગૌતમે તેના પહેલાં લગ્ન વિશે ખોટું કહ્યું છે. ત્યારબાદ નફીસાના માતાપિતાએ મીડિયાને જણાવ્યું કે તે ડિપ્રેશનમાં જતી રહી હતી.
4. પરવીન બાબી: પેરાનોઇડ સિઝોફ્રેનિયા હતો, ભૂખમરાથી મૃત્યુનું કારણ
1976 માં ટાઇમ મેગેઝિનના કવર પર આવનારી પહેલી બોલિવૂડ સ્ટાર પરવીન બાબીનો મૃતદેહ 22 જાન્યુઆરી 2005 ના રોજ તેમના ઘરેથી મળી આવ્યો હતો. 1970 અને 1980ના દાયકાની મોટી સ્ટાર રહી ચૂકેલી પરવીને મૃત્યુ પહેલાં એકલી રહેતી હતી. આજ સુધી તે જાણી શકાયું નથી કે તેણે સુસાઈડ કર્યું હતું કે કુદરતી રીતે મોત થયું હતું. એવા સમાચારો વહેતા થયા હતા કે, તેમને પેરાનોઇડ સિઝોફ્રેનિયા છે, જેના કારણે તેમને ડર સતાવતો હતો કે અમિતાભ બચ્ચન સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સ તેમને મારવા માગે છે. પીએમ રિપોર્ટથી જાણવા મળ્યું કે, ભૂખ્યા રહેવાના કારણે તેમનું મોત થયું હતું.
5. ગુરુદત્તઃ દારૂ અને ઊંઘ ગોળીઓથી હંમેશાં માટે સૂઈ ગયા
પ્યાસા, કાગજ કે ફૂલ, સાહિબ બીબી ઔર ગુલામ જેવી ચૌદવી કા ચાંદ જેવી ક્લાસિક ફિલ્મો આપનાર ડાયરેક્ટર, અભિનેતા અને નિર્માતા ગુરુદત્તને બોલિવૂડમાં સૌથી પ્રતિભાશાળી કલાકારોમાંના એક માનવામાં આવે છે. ગુરુદત્ત લાંબા સમય સુધી ડિપ્રેશનમાં હતા. મૃત્યુ પહેલાં બે વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો હતો. દારૂ અને ઊંઘની ગોળીઓના ઘાતક કોકટેલના કારણે 10 ઓક્ટોબર 1964ના રોજ તેમનું અવસાન થયું. આ દુર્ઘટના હતી કે સુસાઈડ, તે હજી સુધી જાણી શકાયું નથી.
6. જીયા ખાન: નિષ્ફળ સંબંધ, ડૂબતી કરિયર મૃત્યુનું કારણ
જીયા ખાને 3 જૂન 2013 ના રોજ આત્મહત્યા કરી હતી. તેની ઉંમર માત્ર 25 વર્ષની હતી. તપાસ દરમિયાન તેની માતાએ જણાવ્યું હતું કે જીયાએ તેના મૃત્યુ પહેલા છ પાનાની નોટ લખી હતી. તેમાં જીયાએ જણાવ્યું હતું કે, માનસિક રીતે તેને ત્રાસ આપવામાં આવે છે. તેના પરિવારે આરોપ લગાવ્યો છે કે જીયાના બોયફ્રેન્ડ સૂરજ પંચોલીએ તેને આત્મહત્યા માટે ઉશ્કેરી હતી. સૂરજની પણ ધરપકડ કરવામાં આવી હતી. જો કે, ફોરેન્સિક રિપોર્ટમાં જાણવા મળ્યું કે જીયા દારૂના નશામાં હતી અને તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. નિષ્ફળ સંબંધો અને ઢળતી કારકીર્દિને કારણે જીયાએ આત્મહત્યા કરી હતી.
7. પ્રત્યુષા બેનર્જી: બોયફ્રેન્ડ પર આત્મહત્યા માટે ઉશ્કેરીનો આરોપ
ટીવી શો બાલિકા વધુથી લોકપ્રિયતા મેળવનારી અભિનેત્રી પ્રત્યુષા બેનર્જીનું 2 એપ્રિલ 2016 ના રોજ ગોરેગાંવ સ્થિત તેના ઘરે શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. તેના પિતા હજી પણ પોતાની દીકરીને ન્યાય આપવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તેના બોયફ્રેન્ડ રાહુલ રાજ સિંહની વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરી હોવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. પ્રત્યુષાના મૃત્યુના ત્રણ મહિના બાદ રાહુલને બોમ્બે હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મળી ગયા હતા. તેણે દાવો કર્યો હતો કે, ડિસેમ્બર 2016માં તે બંને લગ્ન કરવાના હતા. પરંતુ પ્રત્યુષા તેના માતા-પિતાના હસ્તક્ષેપથી હતાશ રહેતી હતી. જો કે, પ્રત્યુષાના પરિવારજનોનું કહેવું છે કે બંને લીવ-ઇન રિલેશનશિપમાં નહોતા, પરંતુ રાહુલ પ્રત્યુષા સાથે રહેવા આવ્યો હતો. તેણે જ કાવતરું ઘડ્યું અને પ્રત્યુષાને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરી.
8. ઓમ પુરી- હાર્ટ અટેકથી માથામાં ઈજા થવાના કારણે મૃત્યુ થયું
શ્રેષ્ઠ અભિનેતા ઓમ પુરીનું 6 જાન્યુઆરી, 2017ના રોજ શંકાસ્પદ સંજોગોમાં નિધન થયું હતું. શરૂઆતમાં કહેવામાં આવી રહ્યું હતું કે, મોત હાર્ટ એટેકને કારણે થયું છે. જો કે, પોસ્ટમોર્ટમના રિપોર્ટના આધારે ઓશીવારા પોલીસે જણાવ્યું હતું કે, ઓમ પુરીના મોતનું કારણ માથામાં ઈજા હતી. દિવાલ તરફી પડી જવાને કારણે તેમને ઈજા પહોંચી હતી. ઘટના સમયે ઓમ પુરી ઘરમાં એકલા હતા. સવારે ડ્રાઈવરે પડોશીઓની મદદથી દરવાજો ખોલ્યો. ઓમ પુરીનું જેટલું યોગદાન સમાંતર સિનેમામાં રહ્યું, તેના કરતાં વધારે મેઈનસ્ટ્રીમ ફિલ્મોમાં તેમની ભૂમિકા વધારે ચર્ચામાં રહેતી. ઓમ પુરીએ 300 વિવિધ ભાષાઓની ફિલ્મો કરી છે, જેમાં હિન્દીની સાથે કન્નડ, મરાઠી, મલયાલમ, હોલીવુડ અને બ્રિટિશ ફિલ્મો હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/30BSamP
https://ift.tt/3af5hh2