‘દરેક નાગરિકનું કર્તવ્ય છે કે આપણને ઘણા બહાદુરોના બલિદાન પછી જે આઝાદી મળી છે, તેને બચાવવા માટે આપણે પણ બલિદાન આપવા માટે તૈયાર રહીએ’83 વર્ષીય એક્ટર મનોજ કુમારનું કહેવું છે. તેમને દેશભક્તિવાળી ફિલ્મોના ભારત કુમારથી પણ લોકો ઓળખે છે. દિવ્ય ભાસ્કર સાથે વાતચીત દરમિયાન તેમણે પોતાની જિંદગીના અમુક સ્વતંત્રતા સંગ્રામ સેનાનીઓના અનુભવ શેર કર્યા.
મનોજ કુમારે કહ્યું કે, ગુલામીમાં આપણા પર જે વીત્યું છે, દેશ પર જે વીત્યું છે, તે આજના સમયના લોકોએ જોયું નથી. તેઓ દેશ માટે ફાંસીના ફંદા સુધી ગયા, અનેક માર સહન કર્યો, કાળા પાણીની સજા વેઠવી, તેમને જીવનમાં સ્કૂલ-કોલેજમાં ભણવા પણ મળ્યું નહિ. એક વાત કહું પણ આ કોઈની નિંદા નથી. હું એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો અને મારી સાથે ફેમસ હિરોઈન પણ હતી. શોટ દરમિયાન મને ટાઈમ મળતો તો હું લખવા બેસી જતો હતો. લંચ ટાઈમમાં પણ લખતો હતો.
એક્ટ્રેસે મને પૂછ્યું હતું કે, હું શું લખી રહ્યો છું? મેં કહ્યું, ભગતસિંહ પર કહાની લખું છું. મેં તેમને પૂછ્યું કે, તમને ખબર છે, ભગતસિંહ કોણ હતા? તો તેમણે જવાબ આપ્યો કે, હું જાણું છું તેઓ ડાકુ હતા. તે સમયે જ મેં નિર્ણય કરી લીધો કે હું તેમની ફિલ્મ ચોક્કસ બનાવીશ. પછી મેં મારા મિત્ર કેવલ કશ્યપ સાથે મળીને ફિલ્મ શહીદ બનાવી. ત્યારે લોકોને ખબર પાડી કે ભગતસિંહ કોણ હતા.
ભગતસિંહની માતાના પગને સ્પર્શ કરવાનું સૌભાગ્ય મળ્યું
હું 1956માં મુંબઈ આવ્યો. શિવાજી પાર્કમાં રહેતો હતો. મને ખબર પડી કે વીર સાવરકર નજીકમાં જ રહે છે. હું ઘણીવાર તેમને મળવા ગયો અને તેમના પગ દબાવવાનો મોકો મળ્યો. હું પંજાબમાં ગામડે ગયો ત્યારે ભગત સિંહની માતાને પગે લાગવાનું સૌભાગ્ય મળ્યું હતું. હું તેમના માટે હોસ્પિટલ પણ ગયો, બટુકેશ્વર દત્તને મળવાનો પણ મોકો મળ્યો.
મેં 1947માં ભાગલા જોયા છે. હું જાણું છું કે, લાહોરથી દિલ્હી આવતી વખતે અમારા ઘરના લોકોની કેવી રીતે હત્યા કરી દીધી હતી. અમે મૃતદેહની વચ્ચે લોહીથી ખરડાયેલી હાલતમાં રેફ્યુજી કેમ્પમાં આવ્યા હતા, અમારા મન પર શું વીત્યું છે તે અમે જાણીએ છીએ. આજની પેઢીને જેટલું પણ દેખાડવા જેવું હતું તે આપણે દેખાડી ન શક્યા.
આપણી સરકારોએ ભગત સિંહ, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, અશફાક ઉલ્લાહ ખાન જેવા ક્રાંતિકારીઓ વિશે બાળકોને ભણવા ન દીધા. બાળકોને ખબર છે કે, આઝાદી કેવી રીતે મળી. આ આઝાદી બલિદાનથી મળી છે, તેને કાયમ રાખવાની છે અને સારી રીતે સાચવણી કરવાની છે. આ માટે આપણે પણ બલિદાન આપવું પડે તો પગ પાછા ન કરવા જોઈએ.
હું કહું છું કે, જે વિપક્ષી પાર્ટીઓ છે તેમને સરકાર સામે પ્રશ્નો કરવા જોઈએ. સંસદમાં અને વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવો. સેના પણ શંકા ન કરો. આજની સેના પર શંકા થાય તો જનરલની વાત પર પણ શંકા જાય છે અને તેનાથી મનોબળ તૂટે છે. તેઓ બરફમાં રાત-દિવસ થથરીને આપણી રક્ષા કરે છે ત્યારે આપણે શાંતિથી ઊંઘી શકીએ છીએ. તો પછી તેમની બહાદુરી પર શંકા કેમ?
આપણે સૈનિક તો બની શકતા નથી પણ તેમનો જયકાર કરાવનારા તો બનીએ. ક્યારેક લાગે છે કે, હાલ દેશમાં ઘણા જયચંદ છે, જે પૃથ્વીરાજ ચૌહાણ સાથે છેતરપિંડી કરે છે, જીવન જીવો તો એવી રીતે જીવો કે તેમાં કઈક આશા હોય, કૃષ્ણ જેવી લીલા હોય અને રામની જેમ વનવાસ પણ હોય.
મનોજકુમારનું ફેવરિટ સોન્ગ
મનોજકુમારનું ફેવરિટ સોન્ગ ફિલ્મ ‘તલાક’નું ‘કહની હૈ એક બાત હમેં, ઇસ દેશ કે પહેરેદારો સે’છે. ફિલ્મમાં રાજેન્દ્ર કુમાર અને કામિની કદમ હતાં. તે ઈની ઈરાનીનું પ્રથમ પિક્ચર હતું. ડિરેક્ટર મહેશ કૌલ હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3fUPRzv
https://ift.tt/3ayKwNl