દિવગંત એક્ટર સુશાંત સિંહ રાજપૂતને નેશનલ અવોર્ડ આપવામાં આવી શકે છે. રિપોર્ટ પ્રમાણે, માહિતી તથા પ્રસારણ મંત્રાલય આ વર્ષે નેશનલ અવોર્ડમાં સુશાંતને ખાસ રીતે સન્માનિત કરી શકે છે. જોકે, હજી સુધી એ નક્કી કરવામાં આવ્યું નથી કે આ સન્માન કઈ રીતે આપવામાં આવશે. રિપોર્ટમાં મિનિસ્ટ્રીના સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં મરણોપરાંત આપનારા સન્માન અંગેની રૂપરેખા તૈયાર કરવામાં આવશે.
સુશાંતની ફિલ્મ માટે ફેસ્ટિવલ યોજાઈ શકે છે
વેબ પોર્ટલ બોલિવૂડ હંગામાના અહેવાલમાં ભારત સરકારના સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે, સુશાંતના મોતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને હચમચાવી નાખી છે. સુશાંતને જીવતે જીવ જે સન્માન ક્યારેય ના મળ્યું તે તેને મોત બાદ મળી રહ્યું છે. સુશાંતની ફિલ્મ માટે સરકારે એક અલગથી ફેસ્ટિવલ યોજવાનું વિચારી રહી છે. તો નેશનલ અવોર્ડ દરમિયાન સુશાંતને સિનેમામાં આપેલા મહત્ત્વના યોગદાન માટે વિશેષ પુરસ્કાર આપવામાં આવશે.
કેલિફોર્નિયામાં સુશાંતને સન્માનિત કરવામાં આવ્યો હતો
શનિવાર (15 ઓગસ્ટ)ના રોજ કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીએ સુશાંતને સમાજમાં મહત્ત્વનું યોગદાન આપવા બદલ સન્માનિત કર્યો હતો. સુશાંતની બહેન શ્વેતાએ સર્ટિફિકેટ રિસીવ કર્યું હતું. શ્વેતાએ સોશિયલ મીડિયામાં આ અંગેની માહિતી આપતા કહ્યું હતું, ભારતીય સ્વતંત્રતા દિવસ પર કેલિફોર્નિયાએ મારા ભાઈ સુશાંતને સમાજમાં તેના ઓવરઓલ પ્રદાન માટે સન્માનિત કર્યો. કેલિફોર્નિયા અમારી સાથે છે. શું તમે અમારી સાથે છો? તમારા સપોર્ટ માટે આભાર કેલિફોર્નિયા.
સુશાંતને જીવતે જીવ ફિલ્મફેર પણ મળ્યો નથી
સુશાંતે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં 11 વર્ષ કામ કર્યું હતું. શરૂઆતના પાંચ વર્ષ ટીવીમાં તથા બાકીના છ વર્ષ ફિલ્મમાં કામ કર્યું હતું. આ છ વર્ષમાં 11 ફિલ્મમાં કામ કર્યું હોવા છતાંય નેશનલ અવોર્ડ તો દૂર પણ ફિલ્મફેર મળ્યો નહોતો. જોકે, બે વાર સ્ક્રીન અવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત 2017માં ‘એમ એસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ માટે મેલર્બોનમાં ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન બેસ્ટ એક્ટરનો અવોર્ડ આપવામાં આવ્યો હતો. સુશાંત ફિલ્મ ‘એમ એસ ધોની’ તથા ‘કાઈ પો છે’ માટે ફિલ્મફેર તથા IIFA માટે નોમિનેટ થયો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3iM8nMt
https://ift.tt/2Y7jlUL