વરિષ્ઠ એક્ટર રાકેશ બેદી ટૂંક સમયમાં કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જોવા મળશે. આ અંગે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે આ પાત્ર તેમને 12 વર્ષ પહેલાં પણ ઓફર થયું હતું. જોકે, તે સમયે વાત આગળ વધી શકી નહોતી. હવે જ્યારે આ ઓફર બીજીવાર આવી તો તે ઈચ્છે છે કે તેમનો રોલ લાંબા સમય સુધી સિરિયલમાં રહે.
રાકેશ બેદીએ કહ્યું હતું, અસિત મોદી મારા ઘણાં જ સારા મિત્ર છે. મેં તેમની સાથે ભૂતકાળમાં કામ કરેલું છે. આમ તો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ તારક મહેતા પર આધારિત વાર્તા હતી. જોકે, મેકર્સે પછી આ સિરિયલમાં જેઠાલાલ પર ફોકસ કર્યું હતું.
વધુમાં રાકેશ બેદીએ કહ્યું હતું, મને યાદ છે કે 12 વર્ષ પહેલા જ્યારે આ શોની શરૂઆત થઈ ત્યારે મને તારક મહેતા (શૈલેષ લોઢા)ના બોસનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. જોકે, પછી વાત આગળ વધી નહોતી. હવે આટલા વર્ષો બાદ મેકર્સ ઈચ્છે છે કે સિરિયલમાં તારક મહેતાની વાર્તાને એક્સપ્લોર કરવામાં આવે અને મને ફરી વાર બોસનો રોલ ઓફર કરવામાં આવ્યો છે.
આગળ વાત કરતાં તેમણે કહ્યું હતું, મેં શૂટિંગ શરૂ કરી દીધું છે અને હાલમાં મેકર્સ આ પાત્રને એક્સપ્લોર કરવા માગે છે અને તેના પર દર્શકોનું રિએક્શન જોવા ઈચ્છે છે. હવે તે આ કેવી રીતે કરે છે તે હાલમાં મને પણ ખબર નથી. જોકે, આશા છે કે આ રોલ ચાહકોને પસંદ આવે. હવે આ કેમિયો હશે કે ફૂલ ફ્લેજ્ડ રોલ હશે તે તો ભવિષ્યમાં જ ખબર પડશે.
આ શો તેઓ જુએ છે કે નહીં તે સવાલના જવાબમાં રાકેશ બેદીએ કહ્યું હતું, સાચું કહું તો હું આ સિરિયલ એટલી જોતો નથી. આ શો ઘણો જ લોકપ્રિય છે પરંતુ હું આ શોને નિયમિત રીતે જોતો નથી. હું અને દિલીપ જોષી (જેઠાલાલ) જૂના મિત્રો છીએ. અમે અનેક શોમાં સાથે કામ કર્યું છે અને તેની સાથે ફરી એકવાર કામ કરવાની તક મળી છે.
‘તારક મહેતા’ ઉપરાંત રાકેશ બેદી સિરિયલ ‘ભાબીજી ઘર પર હૈં’માં ભૂરેલાલ (અંગૂરી ભાભીના પિતા)ના રોલમાં ક્યારેક ક્યારેક જોવા મળે છે.
‘તારક મહેતા’ સિરિયલ જ્યારે શરૂ કરવામાં આવી ત્યારે જેઠાલાલના રોલ માટે દિલીપ જોષી પહેલી પસંદ નહોતા. આ રોલ માટે દિવંગત જતિન કણકિયાની પસંદગી કરવામાં આવી હતી. જોકે, આ સિરિયલનું શૂટિંગ શરૂ થાય તે પહેલા જ કેન્સરને કારણે તેમનું અવસાન થયું હતું. રાકેશ બેદી તથા જતિન સિરિયલ ‘શ્રીમાન શ્રીમતી’માં સાથે જોવા મળ્યા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2FpNxnB
https://ift.tt/2Y8Kir6