અક્ષય કુમાર પૂરગ્રસ્ત બિહાર અને આસામની મદદ માટે આગળ આવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર તેણે બંને રાજ્યોના મુખ્યમંત્રી રિલીફ ફંડમાં 1-1 કરોડ રૂપિયા દેવાની શપથ લીધી છે. 13 ઓગસ્ટે આ બાબતે તેણે બંને રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. બંને મુખ્યમંત્રીઓએ તેની દરિયાદિલી માટે તેનો આભાર માન્યો અને મદદ કરવા બદલ તેના વખાણ પણ કર્યા.
કોરોના કાળમાં અક્ષયે દિલ ખોલીને મદદ કરી
આ પહેલાં અક્ષય કુમારે કોરોના સામેની લડાઈમાં PM-CARES ફંડમાં 25 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું હતું. આ સિવાય તેણે 3 કરોડ રૂપિયા BMCને માસ્ક, PPE અને રેપિડ ફાયર કિટ્સ ખરીદવા માટે આપ્યા હતા. મુંબઈ પોલીસ ફાઉન્ડેશનમાં પણ તેણે 2 કરોડ રૂપિયા આપ્યા છે. આટલું જ નહીં તેણે રોજમદાર શ્રમિકોની મદદ માટે સીને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશનમાં 45 લાખ રૂપિયા આપ્યા હતા.
અગાઉ પણ ઘણી મદદ કરી ચૂક્યો છે ખિલાડી કુમાર
- જાન્યુઆરી 2017માં અક્ષયે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે તે શહીદ પરિવારો માટે એક એવી વેબસાઈટ કે મોબાઈલ એપ લઈને આવવા ઈચ્છે છે જેના મારફતે સામાન્ય લોકો પણ શહીદ પરિવારોની મદદ કરી શકે. ત્યારબાદ તેણે હોમ મિનિસ્ટ્રી જઈને ત્યાંના ઓફિસર્સ સાથે આ બાબતે ચર્ચા કરી અને તેના અઢી મહિના બાદ તેનું સપનું સાકાર થયું. એપ્રિલ 2017માં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ભારત કે વીર મોબાઈલ એપ અને પોર્ટલની શરૂઆત કરી. તેના મારફતે દેશનો કોઈપણ નાગરિક 1 રૂપિયાથી લઈને તેની ક્ષમતા અનુસાર સૈનિકોની મદદ માટે દાન કરી શકે છે. આ રકમનો ઉપયોગ શહીદના પરિવાર અને સેનાની મદદ માટે કરવામાં આવે છે.
- ફેબ્રુઆરી 2019માં જમ્મુ કાશ્મીરના પુલવામામાં CRPF જવાનોના ટોળા પર હુમલો થયો હતો જેમાં 40થી વધુ જવાન શહીદ થઇ ગયા હતા. આ હુમલા પછી અક્ષય કુમારે ભારત કે વીર ટ્રસ્ટમાં 5 કરોડ રૂપિયા દાન કર્યા હતા.
- જુલાઈ 2019માં આસામમાં આવેલા ભયાનક પૂરથી ઘણું નુકસાન થયું હતું. ત્યારબાદ અક્ષયે CM રિલીફ ફંડ અને કાઝીરંગા નેશનલ પાર્કના રિલીફ ફંડમાં 1-1 કરોડ રૂપિયા દાન કર્યા હતા. તેણે લખ્યું હતું, આસામમાં પૂરથી થયેલા નુકસાન વિશે જાણીને ઘણો દુઃખી છું. આવી સંકટની સ્થિતિમાં મનુષ્ય અને પ્રાણીઓ બંનેને મદદની જરૂર છે. હું CM રિલીફ ફંડ અને કાઝીરંગા નેશનલ પાર્કના ફંડમાં 1-1 કરોડ રૂપિયા આપવા ઈચ્છું છું અને બીજા લોકોને પણ મદદ કરવા માટે અપીલ કરું છું.
- વર્ષ 2018માં કેરળમાં પૂર આવ્યું હતું ત્યારે પણ અક્ષય કુમારે CM રિલીફ ફંડમાં યોગદાન આપ્યું હતું. મદદનો ચેક તેણે તેના મિત્ર પ્રિયદર્શનના હાથે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનને મોકલાવ્યો હતો. તેણે કેટલા રૂપિયા દાન કર્યા હતા તેનો ખુલાસો થયો ન હતો.
- માર્ચ 2020માં અક્ષયે ચેન્નઈમાં બનનાર દેશના પહેલા ટ્રાન્સજેન્ડર શેલ્ટર હોમ માટે 1.5 કરોડ રૂપિયા આપ્યા હતા. તેની અપકમિંગ ફિલ્મ લક્ષ્મી બોમ્બમાં અક્ષય ટ્રાન્સજેન્ડરના રોલમાં છે.
- મે 2019માં આવેલ ફેની વાવાઝોડાથી દેશના ઘણા વિસ્તારમાં નુકસાન થયું હતું. સૌથી વધુ નુકસાન ઓરિસ્સાને થયું હતું ત્યારે અક્ષયે ત્યાંના CM રિલીફ ફંડમાં 1 કરોડ રૂપિયા આપ્યા હતા.
- ડિસેમ્બર 2015માં ચેન્નઈમાં પૂરના કારણે નુકસાન થયું હતું ત્યારે પૂરગ્રસ્ત લોકોની મદદ માટે ભૂમિકા ટ્રસ્ટને 1 કરોડ રૂપિયા દાન કર્યા હતા.
- અક્ષયે પુલવામા શહીદને 5 કરોડ આપ્યા સિવાય આ જ હુમલામાં શહીદ થયેલ જીત રામ ગુર્જરની પત્ની સુંદરી દેવીને 15 લાખ રૂપિયાની સહાય પણ કરી હતી. જીત રામ તેના પરિવારના એકમાત્ર કમાનાર વ્યક્તિ હતા. આ રકમ તેણે ભારત કે વીર ટ્રસ્ટ મારફતે આપી હતી.
2020માં સૌથી વધુ કમાનાર બોલિવૂડ એક્ટર
થોડા દિવસ પહેલાં ફોર્બ્સ મેગેઝીને 2020માં દુનિયાના સૌથી વધુ કમાણી કરનાર એક્ટર્સનું લિસ્ટ રિલીઝ કર્યું હતું. તેમાં એકમાત્ર બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર હતો. તેની કમાણી 362 કરોડ રૂપિયા છે અને તે લિસ્ટમાં છઠ્ઠા નંબર પર છે. તેણે કમાણીમાં વીલ સ્મિથ, જેકી ચેન જેવા સ્ટાર્સને પાછળ રાખી દીધા છે. અક્ષયની મોટાભાગની કમાણી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી થઇ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2DUy4eZ
https://ift.tt/3iIalxf
No comments:
Post a Comment
If you have any doubts please let me know!