મહારાષ્ટ્ર સરકારે કોરોનાને ધ્યાનમાં રાખીને 65 વર્ષથી વધુ ઉંમરના કલાકારોના શૂટિંગ પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારના આદેશને બોમ્બે હાઈકોર્ટે રદ કરી નાખ્યો છે. આ પ્રસંગે દિવ્ય ભાસ્કરે સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નટુકાકાનું પાત્ર ભજવનાર સીનિયર એક્ટર ઘનશ્યામ નાયક સાથે વાત કરી હતી.
અમિતાભ બચ્ચન તો મારાથી પણ મોટા છે, તે કામ કરી શકે તો હું કેમ ના કરી શકું?
બહુ જ ખુશ થયો, અંતે સીનિયર કલાકારોને કામ કરવાની તક મળી. હું એવા ઘણાં સીનિયર એક્ટરને ઓળખું છું, જેઓ પોતાના અંતિમ શ્વાસ સુધી કામ કરવા માગે છે. હું પણ તેમાંથી જ એક છું. ઘરમાં બેસી રહેવાનો કોઈ ફાયદો નથી. હું પૂરી રીતે ફિટ છું અને અંતિમ ક્ષણ સુધી કામ કરવા ઈચ્છું છું. જો તબિયત સારી ના હોય તો આ માહોલમાં ઘરની બહાર જવું સલામત નથી. જોકે, તબિયત સારી હોય તો કામ કરવાની પરવાનગી આપવામાં આવે તો પૂરી સાવધાની સાથે શૂટિંગ કરવું જોઈએ. અમિતાભ બચ્ચન તો મારાથી ઉંમરમાં મોટા છે અને તેઓ કામ કરી શકે તો હું કેમ ના કરી શકું?
ગાઈડલાઈન ધ્યાનમાં રાખીને મને શૂટ પર બોલાવવામાં આવ્યો નહોતો
હું છેલ્લાં પાંચ મહિનાથી ઘરે છું. પહેલાં લૉકડાઉનને કારણે કામ કરી શકતો નહોતો અને પછી 65 વર્ષથી ઉપરના આર્ટિસ્ટ શૂટિંગ ના કરી શકે તેવી ગાઈડલાઈન હતી. અમારા શોનું શૂટિંગ શરૂ થઈ ગયું હતું પરંતુ ગાઈડલાઈનને કારણે મને શૂટિંગમાં બોલાવામાં આવ્યો નહોતો. જોકે, અંતે પ્રોડ્યૂસર અસિત મોદીનો ફોન આવ્યો અને તેમણે કહ્યું કે થોડાં દિવસમાં જ તેઓ મારી સાથે શૂટિંગ કરશે. તેમની વાત સાંભળીને બહુ જ આનંદ થયો. જે ઘડીની હું આતુરતાથી રાહ જોતો હતો તે અંતે આવી ગઈ. મેં અસિતજીને વિનંતી કરી હતી કે મને સેટ પર આવતા પહેલાં એક અઠવાડિયાનો સમય આપજો, જેથી હું મારી જાતને તૈયાર કરી શકું. તેમણે મને આશ્વાસન આપ્યું છે કે તેઓ મને ઘરથી સેટ સુધી અને સેટથી ઘર સુધી આવવા-જવાની વ્યવસ્થા પણ કરી આપશે.
હું માત્ર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો હિસ્સો બનીને સંતુષ્ટ છું
13 વર્ષથી હું આ શો સાથે જોડાયેલો છું. આ સમય દરમિયાન મને કરન જોહર તથા સંજય લીલા ભણસાલીના પ્રોડક્શન હાઉસમાંથી નાના રોલ માટે ઓફર આવી હતી પરંતુ મેં ના પાડી દીધી હતી. નટુકાકાનો રોલ એટલો લોકપ્રિય છે અને જે રીતની લોકપ્રિયતાની ઈચ્છા હતી, તે આ શોથી મળી ગઈ છે. હું 76 વર્ષનો થઈ ગયો અને હવે મારે બીજું કામ કરવાની જરૂર નથી. હું માત્ર આ સિરિયલમાં કામ કરીને સંતુષ્ટ છું.
2008માં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ મળ્યા બાદ જીવન પૂરી રીતે બદલાઈ ગયું
મેં આઠ વર્ષની ઉંમરમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. 63 વર્ષની ઉંમરમાં મને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરવાની તક મળી. આ પહેલાં ઘણો જ સંઘર્ષ કર્યો હતો. હું પડોશીઓ પાસેથી ઉધાર પૈસા લઈને ઘરનું ગુજરાન ચલાવતો હતો. અનેક કલાક કામ કરતો ત્યારે 3 રૂપિયા મળતા. 2008માં જ્યારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ મળી ત્યારે જીવન એકદમ બદલાઈ ગયું. અંદાજે 350 હિંદી-ગુજરાતી ફિલ્મ કરી તો પણ મને એ ઓળખ ના મળી જે ‘તારક મહેતા..’એ અપાવી હતી. હવે હું કામ કર્યા વગર આરામથી ઘર ચલાવી શકું છું. લૉકડાઉનમાં મને પૈસાની ખોટ સહેજ પણ પડી નહોતી.
લોકોએ હિંમત હારવી જોઈએ નહીં
આજકાલના એક્ટર્સ બહુ જલદી હાર માની જતા હોય છે. કામ ના મળે તો જલદીથી હિંમત હારી જાય અથવા તો ડિપ્રેશનમાં આવી જાય છે. ઘણીવાર તો કામ ના મળે તો ખોટું પગલું ભરી બેસતા હોય છે. આ વાત બહુ જ ખોટી છે. મારું જ ઉદાહરણ લો, મને આઠ વર્ષથી લઈને 63 વર્ષની ઉંમર સુધી કોઈ ઓળખતું નહોતું. અનેકવાર હું નિરાશ થયો પરંતુ મેં ક્યારેય હાર માની નહીં અને કામ કરતો રહ્યો. 63 વર્ષની ઉંમર બાદ મને ઓળખ મળી અને પૈસા કમાયા. લોકોએ ક્યારેય હિંમત હારવી જોઈએ નહીં, મહેનત કરતા રહીએ તો ક્યારેય હાર મળતી નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3iojY40
https://ift.tt/3a9uc5l
No comments:
Post a Comment
If you have any doubts please let me know!