ફિલ્મ તથા ટીવી એક્ટર આશિષ રૉય મુંબઈની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં દાખલ છે. તેમના શરીરમાં પાણી ભરાઈ ગયું છે અને તેને કારણે પગમાં સોજા આવી ગયા છે. કોરોનાવાઈરસને કારણે કોઈ પણ ડોક્ટર્સ તેમની સારવાર માટે તૈયાર થયા નહીં. પછી ઘણી વિનંતી કર્યાં બાદ એક ડોક્ટરે તેમનો ચેક-અપ કર્યો અને તરત જ એડમિટ થવાની સલાહ આપી હતી જોકે, પૈસા ઓછા હોવાને કારણે તેમણે પોતાની સારવાર અધ વચ્ચે જ મૂકવાનો નિર્ણય લીધો છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં આશિષે પોતાની વાત કહી હતી.
આજે (18 મે) મારો જન્મદિવસ પણ છે પરંતુ હું આ માહોલમાં ઘણો જ અસહાય છું
મને કિડનીની બીમારી છે અને કોવિડના ચક્કરમાં મારી હાલત બહુ જ ખરાબ થઈ રહી છે. હોસ્પિટલમાં એડમિટ થવા માટે મારે ચાર કલાક રાહ જોવી પડી હતી. આજે (18 મે) મારો જન્મદિવસ પણ છે અને હું આ માહોલમાં ઘણો જ તડપી રહ્યો છું. શરીરમાં પાણી હોવાને કારણે મારા પગ સૂજી ગયા છે. જ્યાં સુધી ડાયાલિસિસ નહીં થાય ત્યાં સુધી સોજા વધતા જશે. મારાથી ચાલી પણ શકાતુ નથી. બે દિવસ પહેલાં મેં અનેક ડોક્ટર્સનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ મદદ માટે આગળ આવ્યું નહીં. અંતે, મારા એક જૂના નિકટના ડોક્ટર અનેક વિનંતી બાદ આવ્યા. તેમણે મને જોઈને તરત જ દાખલ થવાની સલાહ આપી.
મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છું
હિંમત કરીને હું હોસ્પિટલ તો આવ્યો પરંતુ અહીંયા તો કોઈ જોનાર જ નથી. ચાર કલાક બહાર બેસી રહ્યો પછી રિસેપ્શનિસ્ટે મને બોલાવ્યો અને પછી ડોક્ટરે મારી તપાસ કરી. ત્યારબાદ મને એડમિટ કર્યો. મને કિડનીની તકલીફ છે. મને સવારના સાત વાગ્યાથી બેસાડી રાખ્યો હતો અને છેક સાંજે સાતવાગે મારું ડાયાલિસિસ કરવામાં આવ્યું. ભોજન પણ વ્યવસ્થિત મળતું નથી. અનેક તકલીફોમાંથી પસાર થઈ રહ્યો છું.
ખરાબ સમયમાં મારી સાથે કોઈ નથી
આ ખરાબ સમયે મારી સાથે કોઈ નથી. હું એકલો જ આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છું. એક બહેન છે, જેના લગ્ન કોલકાતા થયા છે. સામાન્ય રીતે તે મારી મદદ કરતી પરંતુ હાલમાં લૉકડાઉનને કારણે તે પણ મારો સાથ આપી શકે તેમ નથી.
આ રીતે જીવન પસાર કરવું મુશ્કેલ છે
મારી સારવાર શરૂ થઈ ગઈ છે અને અંદાજે ચાર લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. છેલ્લાં આઠ મહિનાથી કોઈ કમાણી થઈ નથી. મેં મારી ટ્રિટમેન્ટ અધવચ્ચે પડતી મૂકવાનો નિર્ણય લીધો છે. ડોક્ટર્સને ઈન્ફોર્મ કરી દીધું છે કે મારી પાસે સારવારના પૈસા નથી અને તેઓ મને ડિસ્ચાર્જ આપી દે અને હુંઘરે જતો રહીશ. ઘરે જઈને મરી પણ ગયો તો દુઃખ નથી. હાલમાં મને પૈસાને લઈ કોઈનો સપોર્ટ નથી. મારા જીવનની જેટલી પણ બચત હતી, તે બધી જ પૂરી થઈ ગઈ છે. આવું જીવન જીવવું ઘણું જ મુશ્કેલ છે.
ફેસબુક પર પોસ્ટ કરી પૈસાની મદદ માગી
ગયા વર્ષથી આશિષની તબિયત સારી નથી
આશિષને 2019ના શરૂઆતના મહિનામાં પેરાલિસિસનો અટેક આવ્યો હતો. તે સમયે આશિષે કહ્યું હતું, હું પેરાલિસિસ અટેક બાદ ઠીક થઇ ગયો હતો પણ મને કામ ના મળ્યું. હાલ હું મારી બચત પર મારી જિંદગી કાઢી રહ્યો છું પરંતુ તે પણ પૂરી થવા આવી છે. હું મારી બહેન પાસે કોલકાતા શિફ્ટ થઇ જઈશ પરંતુ ઇન્ડસ્ટ્રીમાં કોઈએ મને કામ આપવું પડશે બાકી તમને ખબર જ છે કે શું થશે.’ આશિષ એક વોઇસ ઓવર આર્ટિસ્ટ પણ છે અને તેમણે હોલિવૂડ ફિલ્મ ‘જોકર’ના હિન્દી વર્ઝનમાં તેમનો અવાજ આપ્યો હતો. આશિષે ‘સસુરાલ સિમર કા’, ‘કુછ રંગ પ્યાર કે એસે ભી’ સહિત વિવિધ સિરિયલ્સમાં કામ કર્યું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Tgkw1H
https://ift.tt/3dZ3ixI
No comments:
Post a Comment
If you have any doubts please let me know!