એક્ટર સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદ અનેક સવાલો લોકોના મનમાં ચાલી રહ્યાંછે. સુશાંતના મૃત્યુનું કારણ કેમ્પબાજી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એક્ટરનો પરિવાર પણ માનવા તૈયાર નથી કે સુશાંતે ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી હતી. સુશાંતના નિકટના મિત્ર તથા પ્રોડ્યૂસર સંદીપ સિંહે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી.
સુશાંત બોલિવૂડના કેમ્પનો ભોગ બન્યો હતો અને તેને કારણે ડિપ્રેશનમાં જતો રહ્યો અને તેને આત્મહત્યા કરી. આ વાત કેટલી સાચી છે?
દરેક વ્યક્તિની પોતાની લડાઈ હોય છે. ઈન્ડસ્ટ્રીની વાત નથી. મારે સંઘર્ષ નહીં કરવો પડ્યો હોય? શું સંજય લીલા ભણસાલીએ ‘પદ્માવત’ રિલીઝ કરવા માટે સંઘર્ષ નહોતો કર્યો? શું શાહરુખ પાંચ વર્ષથી હિટ ફિલ્મ માટે લડતો નથી? ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ ફ્લોપ ગયા બાદ આમિર ડિપ્રેશનમાં ગયો હતો? આપણે જ્યારે પ્રેરણાદાયી વ્યક્તિત્વ તરીકે કરોડો લોકોની સામે આવી છીએ ત્યારે આપણે એવું પગલું લેવું જોઈએ, જેનાથી લોકોને પ્રેરણા મળે. આ વાત મહત્ત્વની છે. મીડિયાએ સુશાંતની આત્મહત્યાને તમાશો બનાવી દીધો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક લોકોએ મને મેસેજ કરીને કહ્યું હતું કે તેમને કેમ અંતિમ સંસ્કાર માટે ઈન્વાઈટ ના કર્યાં? સુશાંતના લગ્ન હતાં કે બધાને આમંત્રણ મોકલવામાં આવે? દરેક વ્યક્તિ એક વહેમમાં જીવતી હોય છે અને તેમાંથી તેણે બહાર આવવાની જરૂર છે. તે પડકારોનો સામનો કરીને કેવી રીતે જીત મેળવે છે, તે વાત મહત્ત્વની છે.
સુશાંતની ટીવીથી લઈને ફિલ્મ સુધીની સફર ઉદાહરણરૂપ રહી છે?
હા, બિહાર તથા દિલ્હીનો એક આઉટસાઈડર વ્યક્તિ ટીવીની ટોપ પ્રોડ્યૂસર એકતા કપૂરની સિરિયલમાં કામ કરે છે. સિરિયલ નંબર વન બને છે. પછી તે સિરિયલ છોડે છે. પછી ફિલ્મમાં કામ કરે છે. પાંચ વર્ષમાં ટોચની 12 ફિલ્મ કરે છે. તેમાંથી ત્રણ ‘100 કરોડ ક્લબ’ની ફિલ્મ છે. ‘બ્યોમકેશ’, ‘રાબ્તા’, ‘ધોની’, ‘છિછોરે’, ‘પીકે’માં બિગ પ્રોડ્યૂસર્સ સાથે કામ કર્યું હતું. તે માત્ર 34 વર્ષનો હતો, કંઈ 70નો નહોતો. દરેક વ્યક્તિને અંગત જીવનમાં સમસ્યા હોય જ છે. સંબંધોમાં ચઢાવ-ઊતાર આવે છે. આપણે તેને કેટલી ગંભીરતાથી લઈ છીએ તે મહત્ત્વનો સવાલ છે. હું આ ઈન્ડસ્ટ્રી સાથે છેલ્લાં 20 વર્ષથી છું. શું મેં મારી મરજી પ્રમાણેની ફિલ્મ બનાવી? મારી પોતાની એક અલગ જર્ની છે.
સુશાંતને લઈ જે સવાલો છે, તેની સચ્ચાઈ સામે આવશે?
સાચું કહું તો આ સવાલો સુશાંતના પરિવારે કર્યાં નથી અને પોલીસે પણ કર્યાં નથી. સવાલ મીડિયાએ કર્યાં છે. ખાસ કરીને આ તકનો લાભ ઉઠાવવા માગે છે. હું પોલીસ સ્ટેશનની બહાર આવતો હતો અને મારા મોંમાં માઈક નાખીને પૂછવામાં આવે છે કે તમે શું કહેવા માગો છો? અરે આ તો ઈન્વેસ્ટિગેશનનો ભાગ છે. હું કેવી રીતે નિવેદન આપી શકું. કોઈ નેપોટિઝ્મને કારણ તરીકે રજૂ કરે છે તો કોઈ ડિપ્રેશન કહે છે તો અન્ય એક બ્રેકઅપની વાત કહે છે. તો કેટલાંક વળી એમ કહે છે કે તેની પાસે પૈસા નહોતાં. તેને ફિલ્મમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. દરેક લોકો અલગ અલગ વાત કરી રહ્યાં છે. કમનસીબી એ છે કે આ તમામ કારણો તથા નેરેટિવમાંથી અમને વિકલ્પ આપવામાં આવે છે અને અમારે આ વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે. જેને કારણે આપવાનું હતું, તે તો જતો રહ્યો. જે કારણે એ દુનિયા છોડીને ગયો મીડિયા ફરીથી તે કારણો સામે લાવી રહી છે.
એમ કહેવાય છે કે તે અંતિમ સમયે માત્ર બે-ત્રણ પ્રોડ્યૂસર્સ સિવાય કોઈના સંપર્કમાં નહોતો. તમારી સાથે એ સંપર્કમાં હતો?
વ્યક્તિ જ્યારે ડિપ્રેશનમાં આવે ત્યારે તે બહારના લોકોને મળવાનું ટાળે છે. તમે-આપણે બધા ડિપ્રેશનમાં છીએ. હું પણ ડિપ્રેશનમાં છું. જોકે, દીપિકા પાદુકોણ આપણી સામે એક ઉદાહરણ છે. તે ડિપ્રેશનનો ભોગ બની અને તેમાંથી બહાર આવ્યા બાદ તેણે ખુલીને આ મુદ્દે વાત કરી હતી. ડોક્ટર્સની સલાહ લીધી. દવા લીધી અને મીડિયામાં આવીને વાત કરી હતી. સ્વીકાર કર્યો કે તે ડિપ્રેશનમાં હતી. એમ ના વિચારો કે ડિપ્રેશન માત્ર એક કે બે વર્ષમાં થવાવાળી વસ્તુ છે. તે આજે પણ એ તબક્કામાંથી પસાર થાય છે. અલબત્ત, તેણે એનો સામનો કર્યો.
સુશાંતે તમારી સાથે ડિપ્રેશન અંગે વાત કરી હતી?
હું જ્યારે ટીવી સિરિયલ ‘સરસ્વતીચંદ્ર’ બનાવી રહ્યો હતો ત્યારે તેને ઓફર કરી હતી. તે સમયે સુશાંત ‘પવિત્ર રિશ્તા’ને કારણે ચાહકોમાં લોકપ્રિય થયો હતો. જોકે, જ્યારે મેં વાતચીત શરૂ કરી તો મને લાગ્યું કે આ છોકરો હવે ફિલ્મમાં કામ કરશે. ટીવી માટે નથી. તે સમયે અમારી મિત્રતા થઈ હતી. હું મીરા રોડ પર રહેતો હતો અને સુશાંત લોખંડવાલામાં રહેતો હતો. હું ઘણીવાર તેના ઘરે રોકાઈ જતો. હું, સુશાંત તથા અંકિતા. તે સમયે તેણે કહ્યું હતું કે તે જ્યારે સ્ટાર બનશે ત્યારે મારી ફિલ્મમાં જરૂરથી કામ કરશે. અમે બંને બિહારી છીએ. તેણે કહ્યું હતું કે હું જ્યારે મોટો સ્ટાર બનીશ ત્યારે તમારે મોટા ડિરેક્ટર તથા પ્રોડ્યૂસર બનવાનું છે. આ વાત તેણે ત્યારે કહી હતી જ્યારે તે ભણસાલી પ્રોડક્શનમાં ગયો હતો. અમે એ રીતની તૈયારી કરતા હતાં. ‘વંદે ભારતમ’ તેનો જ હિસ્સો હતી. આ ફિલ્મને રાજ શાંડિલ્ય લખતા હતાં. તેની અને મારી વચ્ચે 10 વર્ષથી સંબંધ છે. અમે દરેક વાતો શૅર કરતા હતાં. તે જ્યારે દવા લેતો ત્યારે પણ તેની ચર્ચા કરી હતી. તે જીવનના ખરાબ તબક્કામાંથી પસાર થયો ત્યારે પણ વાત કરી હતી. જ્યારે તેણે ઘર લીધું તે પણ જણાવ્યું હતું. તેને ઈન્ટિરિયરનો ઘણો જ શોખ હતો. તેણે લોનાવાલામાં ઘર લીધું ત્યારે હું, મહેશ શેટ્ટી અને તે ત્રણેય ગયા હતાં.
સુશાંત ડિપ્રેશનમાં હતો તો તેનું કારણે ગ્રુપિઝ્મ હતું?
જો હું એમ કહું કે સુશાંતને ફિલ્મમાંથી હાંકી કાઢવામાં આવ્યો અને મીડિયા પણ એમ જ કહી રહી છે. મારું કહેવું છે કે તેણે 30-40 ફિલ્મ છેલ્લાં પાંચ વર્ષમાં નકારી હતી. તે ફિલ્મની વાત કેમ કરવામાં આવતી નથી. જ્યારે સાત ફિલ્મમાંથી તેને હાંકી કાઢવામાં આવ્યો પરંતુ તેનું કારણ શું હશે તે ખબર નથી. લોકો સાચું કારણ જાણવાનો પ્રયાસ કરતા નથી. આપણે ગ્રુપિઝ્મની વાત કરીએ છીએ. તે આઉટસાઈડર હતો તેમ કહીએ છીએ પણ તેને એકતા, ધર્મા, યશરાજ, સાજિદ નડિયાદવાલા તથા નીરજ પાંડે સાથે કામ કર્યું હતું. તેણે દિનેશ સાથે પણ કામ કર્યું હતું.
બોલિવૂડમાં કેમ્પ હોવાને કારણે તેની આ હાલત તે સવાલ તો ચર્ચાઈ જ રહ્યો છે ને?
પણ આ વાત ના તો હું બોલી રહ્યો છું ના તો મહેશ શેટ્ટી બોલે છે. શું સુશાંતે ક્યારેય એમ કહ્યું હતું કે તેને ફિલ્મમાંથી હાંકી કાઢવામાં આવ્યો અને તેથી જ તે ડિપ્રેશનમાં ગયો? પરિવાર પણ ત્યારે નહોતો બોલ્યો. જોકે, મીડિયાએ સવાલ કર્યાં ત્યારે પરિવાર આ વાત કહી રહ્યો છે.
CBI તપાસની માગણી ઉઠી છે?
તેમાં કોઈ વાંધો નથી. દરેકનું માનવું છે કે સુશાંત આ રીતે જઈ શકે નહીં અને તેથી તપાસ થવી જરૂરી છે. તે તપાસની એક પ્રક્રિયા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેના જેટલાં પણ ઓળખીતા છે, તેમની પૂછપરછ થઈ રહી છે.
અંતિમ દિવસોમાં તેણે તમારી સાથે કંઈ શૅર કર્યું હતું?
હજી તપાસ ચાલુ છે તેથી હું કેટલીક વાતો શૅર કરી શકીશ નહીં. એક વાત ઘણી જ પર્સનલ હતી. હા, સાચી વાત છે કે અમારી વચ્ચે એવી મિત્રતા હતી કે અમે બધી જ વાતો શૅર કરતાં હતાં.
ઈન્સ્ટામાં તમે પોસ્ટ કરી હતી કે અંકિતા તેને બચાવી શકતી હતી. અંકિતાએ હજી સુધી આને લઈ કોઈ પ્રતિક્રિયા આપી નથી? અંકિતા સાથેના બ્રેકઅપ બાદ સુશાંત કોઈની સાથે રિલેશનશિપમાં હતો?
આ તો પૂરી દુનિયાને ખબર છે કે તે કોની સાથે સંબંધમાં હતો. રહ્યો સવાલ અંકિતાનો તો તે અત્યારે સ્ટેટ ઓફ માઈન્ડમાં નથી કે તે કોઈનું લખાણ વાંચે કે પછી રિએક્ટ કરે કે આવું કેમ લખવામાં આવ્યું છે. બધાના ઈમોશન છે, જે ધીમે ધીમે બહાર આવી રહ્યાં છે.
સુશાંતના જેની સાથે સંબંધો હતાં, તેને કારણે તેણે આવું પગલું ભર્યું?
દરેક વ્યક્તિ કોઈને કોઈની સાથે રિલેશનશિપમાં હોય છે અને એ દરમિયાન જો કોઈ ઘટના બને તો દોષારોપણ શરૂ થઈ જાય છે. તેની પર સવાલ કરવામાં આવે છે, કારણ કે તે વ્યક્તિ તેની સૌથી વધુ નિકટ હોય છે. આ વાત કેટલી સાચી તે તપાસનો વિષય છે. યોગ્ય સમયે સત્ય સામે આવી જશે.
તમે ભણસાલી તથા સુશાંત બંનેની નિકટ હતાં તો સવાલ એ છે કે શું તેને ‘બાજીરાવ’ ઓફર થઈ હતી? આ વાત કેટલી સાચી છે?
જુઓ, દરેક ફિલ્મ ઘણાં એક્ટર્સની વચ્ચે ફરતી હોય છે. ‘બાજીરાવ મસ્તાની’ પણ અનેક એક્ટર્સ પાસે ગઈ હતી અને જેના નસીબમાં આ ફિલ્મ હતી અને જેની ડેટ્સ ઉપલબ્ધ હતી, તેની સાથે ડિરેક્ટરે કામ કર્યું. ‘બાજીરાવ’નો તો લાંબો ઈતિહાસ રહ્યો છે અને તે ઘણાં એક્ટર્સ સાથે શરૂ થઈ હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3fVZNJq
https://ift.tt/38f23sZ
No comments:
Post a Comment
If you have any doubts please let me know!