‘છોટી સી બાત’, ‘રજનીગંધા’ જેવી ફિલ્મ આપનાર વરિષ્ઠ ફિલ્મ ડિરેક્ટર તથા રાઈટર બાસુ ચેટર્જીનું આજે (ચાર જૂન) નિધન થયું હતું. તેઓ 90 વર્ષના હતાં. અમોલ પાલેકરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં બાસુ ચેટર્જીને યાદ કર્યાં હતાં.
તેમણે કહ્યું હતું, ‘મને તેમની સાથે સૌથી વધારે આઠ ફિલ્મ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. તેમની ફિલ્મમાં કોમન મેન હીરો બનતો હતો. ખરી રીતે તો તેઓ આપણી પોતાની વાત હોય તેવી જ વાર્તા પસંદ કરતાં હતાં. સામાન્ય વ્યક્તિના જીવન સાથે જોડાયેલી ઘણી ફિલ્મ તેમને બનાવી. આ ફિલ્મમાં કોઈ ડ્રામા જોવા મળે નહીં. તેમાં વિલન સુદ્ધાં જોવા ના મળે. એટલે કે જે ડ્રામા માટે આવશ્યક માનવામાં આવે છે. એક્ટર-એક્ટ્રેસ તથા વિલન હોય. આ વિલન એક્ટર-એક્ટ્રેસના જીવનની વચ્ચે આવે અને તો જ ડ્રામા ક્રિએટ થાય છે. તેમણે આ મહત્ત્વનો હિસ્સો જ ફિલ્મમાંથી ઉડાવી દીધો.’
વધુમાં અમોલ પાલેકરે કહ્યું હતું, ‘અમે બંનેએ પહેલી વાર ‘રજનીગંધા’માં સાથે કામ કર્યું હતું. એ ફિલ્મની શરૂઆતથી અંત સુધી નાયક પોતાની નાયિકાને એકવાર પણ ‘હું તને પ્રેમ કરું છું’ આ વાક્ય બોલતો જ નથી. નાયિકાને મળવા જવામાં મોડું કરે, મળ્યાં બાદ ઓફિસની વાતો કરે. પ્રેમની તો વાત જ નથી કરતો. આ પ્રકારની તદ્દન અલગ દુનિયા લઈને તેઓ પોતાની ફિલ્મ રિલીઝ કરતાં. આ ફિલ્મ સામાન્ય વ્યક્તિની કોમન દુનિયા છે. આ બધી વાતો લઈને તેમણે ફિલ્મ બનાવી અને આથી જ ચાહકોને ઘણી જ ગમી.’
‘તે સમયે એટલે કે 70-80ના દાયકામાં ગ્લૌસી ફિલ્મનો સમય હતો. એક તરફ એન્ગ્રી યંગ મેન અમિતાભ બચ્ચન, બીજી તરફ રોમેન્ટિક રાજેશ ખન્ના, ત્રીજી તરફ હીમેન ધર્મેન્દ્ર, ચોથી બાજુ જીતેન્દ્ર ડાન્સિંગ સ્ટારની વચ્ચે બાસુ દાની ફિલ્મ પેરેલલ ચાલતી હતી. અહીંયા લોકોને તદ્દન અલગ પ્રકારની દુનિયા જોવા મળતી અને લોકો તેને માણતા પણ હતાં. તેમની આ જ ખાસિયત રહેતી અને તેઓ એક અલગ પ્રકારના સેન્સ ઓફ હ્યુમર સાથે ફિલ્મ બનાવતા. તે સમયે અન્ય પ્રોડ્યૂસર-ડિરેક્ટરની કોમેડીની જે કલ્પના હતી, તે એકદમ લાઉડ હતી. તે સમયે કોઈની પર કટાક્ષ કરીને કોમેડી કરવી, તોતડું બોલીને હસાવવાનો પ્રયાસ કરવામાં આવતો. બાસુ દાની ફિલ્મમાં આ બધા વગર જ હાસ્ય જોવા મળતું. તેમની ફિલ્મમાં રોજિંદા જીવનની નાની-નાની વાતોની બારીકાઈ જોવા મળતી. બાસુ દા આ બધામાં પોતાનું એક સ્ટેન્ડ લેતા. આ બધી વાતોમાંથી હાસ્ય ઉત્પન્ન થતું.’
અમોલ પાલેકરે કહ્યું હતું, ‘બાસુ દાનું કદ બહુ જ મોટું હતું. તેમણે જેવી ફિલ્મ બનાવી, ઋષિકેશ દાએ પણ પછી એ જ પ્રકારની ફિલ્મ બનાવી. ‘ચુપકે ચુપકે’ હોય કે પછી ‘ગોલમાલ’ કે પછી ઋષિ દાએ મારી સાથે જેટલી પણ ફિલ્મ બનાવી હોય. આ પ્રકારની ફિલ્મ બાસુ દાએ પહેલેથી જ કરી લીધી હતી. બાસુ દા બધાના પ્રણેતા હતાં. અંતે, હું એટલું જ કહીશ કે બાસુ દાએ જે હાંસિલ કર્યું, આપણાં મીડિયાએ ક્યારેય તેમને ક્રેડિટ આપી નહીં. કારણ કે આપણી અપેક્ષા મોટી ટ્રેજેડીને રજૂ કરવી તેને બહુ જ મોટી સ્કિલ માનવામાં આવે છે. અથવા તો કોઈ સામાજિક મુદ્દા પર ફિલ્મ બનાવવામાં આવે તો તેને વખાણ કરી દેવામાં આવે છે. બાસુ દા હંમેશાં આ બધું કર્યાં વગર કમાલની ફિલ્મ બનાવતા હતાં. તે સમયે મીડિયાએ બાસુ દાને યોગ્ય ક્રેડિટ આપવાની જરૂર હતી.’
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/302uS9Q
https://ift.tt/2MtXosR
No comments:
Post a Comment
If you have any doubts please let me know!