અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં તેની મિત્ર અને અભિનેત્રી રિયા ચક્રવર્તી સાથે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં શુક્રવારે 11 કલાક સુધી પૂછપરછ ચાલી હતી. પોલીસ વર્તુળોમાંથી મળતી માહિતી પ્રમાણે રિયાએ આપેલા નિવેદનમાં ઘણી નવી માહિતી બહાર આવી છે. રિયાએ કહ્યું કે એ સુશાંત સાથે રિલેશનશિપમાં હતી અને એની સાથે જ રહેતી હતી. એણે સુશાંતના કહેવા પર જ એનું ઘર છોડ્યું હતું. રિયાએ એ પણ કહ્યું કે 2019માં ‘દિલ બેચારા’ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા પછી તરત જ સુશાંતમાં ડિપ્રેશનનાં લક્ષણો દેખાવા લાગ્યાં હતાં. બીજી બાજુ, સુશાંતની બિઝનેસ મેનેજર શ્રુતિ મોદીએ કહ્યું કે સુશાંત એક વર્ચ્યુઅલ ગેમ્સ કંપની બનાવવાની તૈયારીમાં હતો.
રિયાએ પોલીસને કહ્યું કે 2019માં સુશાંતમાં ડિપ્રેશનનાં લક્ષણો દેખાવા લાગ્યાં એટલે તે એની સાથે જ ડૉક્ટર પાસે ગઈ હતી. ડોક્ટરોએ એને દવાઓનો કોર્સ પૂરો કરવાનું અને રેગ્યુલર ક્લિનિક આવવાનું કહેલું. રિયાના કહેવા પ્રમાણે, સુશાંત ઘણી વાર દવાઓ લેવાનું ટાળતો હતો. પોલીસ સ્ટેશનેથી નીકળ્યા બાદ રિયાએ મીડિયાના એકેય સવાલના જવાબ આપ્યા નહોતા. સુશાંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ના ડિરેક્ટર મુકેશ છાબડાની પણ પૂછપરછ થઈ ચૂકી છે.
સુશાંતનું જૂનું ઘર ડરામણું હતું
સુશાંતનું જૂનું ઘર શા માટે છોડ્યું એ સવાલના જવાબ પર રિયાએ કહ્યું કે એ ઘર મને ડરામણું લાગતું હતું. રિયાએ પોલીસને જણાવ્યું કે સુશાંતના પરિવાર સાથે એને કોઈ વાંધો નહોતો. એણે તો એવું પણ કહ્યું કે એણે સુશાંતના પિતા સાથે એક-બે વાર વાત પણ કરી હતી. એ વાતનો પણ રિયાએ સ્વીકાર કર્યો કે સુશાંત સાથે એનાં લગ્ન થવાનાં હતાં.
2013માં સુશાંત સાથે મુલાકાત થયેલી
2013માં સુશાંત ‘શુદ્ધ દેસી રોમાન્સ’ ફિલ્મ કરી રહ્યો હતો અને રિયા ‘મેરે ડેડ કી મારુતિ’ ફિલ્મ કરી રહી હતી. બંને ફિલ્મોના સેટ નજીકમાં જ હતા અને બંનેની પહેલી મુલાકાત પણ ત્યાં જ થયેલી. એ પછી પાર્ટીઓમાં બંનેની મુલાકાત થતી રહી, જે રિલેશનશિપમાં પરિવર્તિત થઈ.
વધુ પરેશાન હોય તો પુણેના ફાર્મહાઉસમાં જતો રહેતો
રિયાના કહેવા પ્રમાણે, સુશાંત જ્યારે વધુ પરેશાન હોય ત્યારે એ પુણેના પાવનામાં આવેલા પોતાના ફાર્મ હાઉસમાં ચાલ્યો જતો. સુશાંતે આત્મહત્યા શા માટે કરી તે રહસ્ય પોલીસ માટે પણ હજી અકબંધ છે, કારણ કે અભિનેતાના ઘરેથી કોઈપણ સુસાઈડ નોટ મળી આવી નથી. સુશાંત ડિપ્રેશનમાં હતો, પણ તેનું ખરેખરું કારણ શું હતું તે હજી સુધી સામે આવ્યું નથી.
સુશાંત વર્ચ્યુઅલ ગેમ્સની કંપની બનાવવાની વેતરણમાં હતો
ગુરુવારે સુશાંતની બિઝનેસ મેનેજર શ્રુતિ મોદીનું નિવેદન પણ પોલીસે નોંધ્યું. શ્રુતિએ પોલીસને કહ્યું કે એ સુશાંત સાથે જુલાઈ 2019થી 3 ફેબ્રુઆરી 2020 સુધી કામ કરતી હતી. શ્રુતિના કહેવા પ્રમાણે સુશાંત એકસાથે કેટલીયે અલગ અલગ વસ્તુઓ પર કામ કરવાનું સપનું જોઈ રહ્યો હતો. એ રિયલિસ્ટિક વર્ચ્યુઅલ ગેમ્સની કંપની બનાવવાની તૈયારીમાં હતો. કોલેજના વિદ્યાર્થીઓ સાથે મળીને ‘નેશન ઈન્ડિયા ફોર વર્લ્ડ’ નામનો NGO પણ શરૂ કરવા માગતો હતો. સોશિયલ પ્રોજેક્ટ જીનિયસિસ એન્ડ ડ્રોપ આઉટ્સ પર પણ કામ કરી રહ્યો હતો.
સોનુ નિગમે પણ ઈન્ડસ્ટ્રી પર આરોપ લગાવ્યા
સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછી ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ અને જૂથબંધી વિશે ગરમાગરમ ચર્ચાઓ ચાલી રહી છે. હવે તેમાં ગાયક સોનુ નિગમે પણ ઝુકાવ્યું છે. સોનુ નિગમે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શૅર કરીને ચોંકાવનારી વાત કહી છે કે, જો મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં જૂથબંધી ખતમ ન થઈ તો શક્ય છે કે આવનારા થોડા સમયમાં તેમાં પણ આત્મહત્યાના સમાચાર આવે. એટલું જ નહીં, સોનુ નિગમે નામ લીધા વિના મ્યુઝિક કંપનીઓ અને એક અભિનેતા પર નિશાન સાધ્યું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/311KRFx
https://ift.tt/2YdJbag
No comments:
Post a Comment
If you have any doubts please let me know!